ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં આગામી ઇદને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા નાગરવાડા, સૈયદપુરા સહિત 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેંજ ઝોન જાહેર કર્યાં છે.
નાગરવાડા, સૈયદપુરા સહિત 27 વિસ્તાર ઓરેન્જ ઝોન જાહેર
સૌથી વધુ પોઝીટીવ કેસ નાગરવાડા અને સૈયદપુરામાંથી આવ્યા હતા
લોકડાઉન પાર્ટ 4માં રાજ્યોમાં ઝોન નક્કી કરવા આરોગ્ય વિભાગે ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકારે ઓરેન્જ ઝોન અને રેડ ઝોન જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો પણ જાહેર કર્યા હતા. રાજ્યમાં રેડ ઝોન અમદાવાદ, સુરત અને વડોદરા આમ 3 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 17 જિલ્લા ઓરેન્જ ઝોન અને 13 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા હતા.
રાજ્યના વડોદરા શહેરની વાત કરીએ તો તંત્ર દ્વારા 27 વિસ્તારોનો રેડઝોનમાંથી ઓરેંજ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. શહેરના 90 રેડ ઝોન વિસ્તારમાંથી 27 વિસ્તારોને ઓરેંજ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.
શહેરમાં આવેલા નાગરવાડા, સૈયદપુરા સહિત 27 વિસ્તારોને ઓરેંઝ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નાગરવાડા અને સૈયદપુરામાંથી આવ્યાં હતા. જો કે ઘણા દિવસોથી કેસ ન આવતાં ઇદની પૂર્વ સંધ્યાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે.