દેશના 8 રાજ્યોમાં કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. દેશમાં મૃત્યુદરમાં પણ વધારો થયો છે. કોરોનાના આંકડા ચેતાવનારા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર બની રહી છે ઘાતકી
દેશના 8 રાજ્યોમાં કોરોનાનું ઘાતક સ્વરૂપ
મૃત્યુદરમાં 51 ટકાનો વધારો
દેશમાં કોરોનાનો પહેલા કેસ નોંધાયાને એક વર્ષ કરતા પણ વધુ સમય થઈ ચુક્યો છે. હાલમાં લોકડાઉન ન હોવાના કારણે ભલે લોકો નિશ્ચિંત થઈ ગયા હોય, પરંતુ કોરોના કેસના વધતા આંકડા ખરેખર ચોંકાવનારા છે. કારણ કે અઢી મહિનાના વેક્સિનેશન બાદ પણ દેશના 8 રાજ્યોમાં કોરોનાનું ઘાતક સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.
1 કરોડ 20 લાખ 39 હજાર 644 આ સંખ્યા છે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાગ્રસ્ત થયા થયેલા લોકોની.
1 કરોડ 13 લાખ 55 હજાર 993 આ આંકડો છે, કોરોનાની બીમારીને મ્હાત આપીને સાજા થયેલા લોકોની.
1 લાખ 61 હજાર 843 આટલા લોકો કોરોના સામે ઝઝુમ્યા તો ખરા, પરંતુ અંતે મોતને ભેટ્યા.
5 લાખ 21 હજાર 808, હાલમાં કોરોનાના આટલા કેસ એક્ટિવ છે, અને બની શકે આ આંકડો હકીકતમાં વધારે પણ હોય.
6થી 8 અંકોની આ સંખ્યા માત્ર આંકડા નથી. આ પુરાવો છે, એ વાતનો કે કોરોનાનું સંક્રમણ કેટલું ઘાતક છે. આ સાબિતી છે કે મહામારી સામે આપણે કેટલા મજબુત છે અને કેટલા મજબુર. આ આંકડા કહી રહ્યા છે, સાવચેતી નહીં રાખો તો કોરોના ભરખી જશે.
મૃત્યુદરમાં 51 ટકાનો વધારો
એક વર્ષ કરતા પણ વધુ સમયથી આખી દુનિયા કોરોનાની મહામારી સામે ઝઝુમી રહી છે. દેશમાં વેક્સિનેશન પણ ચાલુ છે. તેમ છતાં હાલમાં કોરોનાના જે આંકડા સામે આવી રહ્યા છે, તે ખરેખર ચિંતાજનક છે. દેશમાં કોરોનાના કેસ ગયા સપ્તાહ કરતા 1 લાખ 30 હજાર વધી ગયા છે. આટલું જ નહીં વધતા કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. એક સપ્તાહના આધારે મૃત્યુદરમાં 51 ટકાનો વધારો જોવા મળ્યો. માત્ર એક જ અઠવાડિયામાં 1875 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા. આટલો આંકડો છેલ્લે ગયા વર્ષે 21થી 27 ડિસેમ્બરના સપ્તાહમાં નોંધાયો હતો.
દેશના 8 રાજ્યોમાં કોરોનાનું ઘાતક સ્વરૂપ
સૌથી ચિંતાજનક બાબત કોરોનાના એક્ટિવ કેસ અંગે પણ જોવા મળી. 4 લાખ એક્ટિવ કેસને 5 લાખ થવામાં માત્ર ત્રણ જ દિવસનો સમય લાગ્યો. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢ એવા આઠ રાજ્યો છે, જેમાં દેશના કુલ કેસના 84 ટકાથી વધુ દર્દીઓ છે. છેલ્લા 19 દિવસથી દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને દુ:ખની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓનો દર ઘટીને 94.32 થઈ ગયો.
ગુજરાતમાં પણ કોરોનાની ગંભીર સ્થિતિ
ગુજરાતમાં સોમવારે નોંધાયેલા કોરોનાના કેસના આંકડા પણ કોરોનાની ગંભીર સ્થિતિના પુરાવો આપી રહ્યા છે. સોમવારે રાજ્યમાં કોરોનાના કુલ 2252 કેસ નોંધાયા, જેમાંથી 1604 કેસ તો માત્રને માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના જ છે. જ્યારે બાકીના 648 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા. સોમવારે 1731 લોકોને સારવાર બાદ કોરોનાથી છૂટકારો મળ્યો. પરંતુ હજુ પણ ગુજરાતમાં કોરોનાના 12 હજાર 41 કેસ એક્ટિવ છે, જેમાંથી 149 લોકોને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા છે. એટલે લોકડાઉન લાગે કે ન લાગે, દંડ પ્રત્યે તંત્ર કઠોર હોય કે નરમ, આસ પાસ કોરોનાના કેસ હોય કે ન હોય, આવી પરિસ્થિતમાં સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.