કોરોનાએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. મંગળવારે રાત સુધીમાં રાજ્યમાં 6000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે સૌથી ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેરની જ્યાં કુલ 4425 કોરોનાના કેસ નોંધાયા છે. જો કે કોરોના અમદાવાદ બાદ ગાંધીનગરને ઝપેટલાં લઈ રહ્યું છે. 15 દિવસ પહેલાં કોરોના મુક્ત બનેલું ગાંધીનગરનાં એક અઠવાડિયામાં વધી રહેલાં કેસોએ સચિવાલય- વિધાનસભાથી લઈ સમગ્ર ગાંધીનગરમાં ચિંતાનો માહોલ પેદા કરી દીધો છે.
ગાંધીનગરમાં અત્યાર કોરોનાના 61 એક્ટિવ કેસ, જે છેલ્લા અઠવાડિયામાં નોંધાયા
સચિવાલયને સુરક્ષિત રાખવા અમદાવાદ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતાં અધિકારી પ્રતિબંધ ફરમાવાયો
ગાંધીનગરમાંથી પ્રવશે કરવા માટે માત્ર ‘ચ’ રોડથી જ એન્ટ્રી
ગાંધીનગરમાં મંગળવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 79 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે અને 14 લોકો સાજા થઈ ઘરે ગયા છે. ગાંધીનગરમાં પ્રથમ કેસ નોંધાયા બાદ લગભગ 15-20 દિવસ બાદ તમામ દર્દીઓ સાજા થતાં જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરાયો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ગાંધીનગર શહેર અને ગામડાઓમાંથી આવી રહેલાં પોઝિટિવ કેસો ચિંતા વધારી રહ્યા છે. હાલમાં ગાંધીનગરમાં કોરોનાના 61 એક્ટિવ કેસ સારવાર લઈ રહ્યા છે.
ગાંધીનગરમાં એક જ અઠવાડિયા ઘણા કેસ નોંધાયા
ગાંધીનગરમાં એક જ અઠવાડિયામાં વધી રહેલાં કેસોએ સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પાટનગર વહીવટી વિભાગની ઊંઘ હરામ કરી નાંખી છે. સાવચેતીના ભાગ રૂપે એકલાં ગાંધીનગર શહેરનો 25 ટકા કરતાં વધારે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. ગાંધીનગરમાં વધી રહેલાં કેસોથી સચિવાલયમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ સચિવાલય આવતાં ડરી રહ્યા છે.
હેલ્થ ચેક અપ બાદ જ ગાંધીનગરમાં એન્ટ્રી
કોરોના ગાંધીનગરની પરિસ્થિતિ વધુ બગાડે નહીં એટલે સચિવાલયમાં અમદાવાદ અને અન્ય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી અધિકારીઓ પર રોક લગાવાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશન પાસેથી ઉચ્ચ અધિકારીઓએ વહીવટ પોતાના હાથમાં લઈ લીધો છે. સમગ્ર ગાંધીનગરમાં પ્રવેશતાં તમામ રસ્તા પર નો એન્ટ્રી કરી માત્ર ‘ચ’ રોડને જ ખુલ્લો રખાયો છે. એ પણ હેલ્થ ચેક અપ બાદ જ ગાંધીનગરમાં એન્ટ્રી અપાઈ છે.