વડોદરામાં ગોત્રી GMERS હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અહીં દાખલ થનારા દર્દીઓ અને તેમના પરિજનો કહી રહ્યા છે કે અહીં દાખલ થનારા લોકો હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે મૃત્યુ પામ્યા છે. મંગળવારે એક ઘટના સામે આવી છે જેમાં એક દર્દીની પરિસ્થિત અંગે તેના પરિવારે હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે. આ પરિવારની આપવિતી કાળજુ કંપાવી દે તેવી છે. એક પિતા અને પતિ હોસ્પિટલમાં દાખલ થાય છે અને મળે છે તેનો મૃતદેહ.
સરકારી તંત્ર ક્યારે સુધરશે
પરિવાર પર શું વિતે છે તેની કોઈને નથી પડી
રોજ આવા કેટલાય કિસ્સા સામે આવે છે
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે 50 વર્ષના કોરોના પોઝિટિવ દર્દી હરીશભાઈ રણછોડબાઈ રાણાને દાખલ કરવામાં આવ્યા અને ચાર દિવસમાં તેમનું મોત થયું. ન તેમના પરિવારને તેમનું મોઢું જોવા મળ્યુ ન તેમને પરિવાર. તેમની પત્નીએ જે આપવીતિ રજૂ કરી તે કાળજુ કંપાવી દે તેવી છે. હરીશભાઇ રિક્ષા ચલાવતા હતા અને રાણાવાસ ફતેપુરામાં રહેતા હતા. તેમના પત્ની અને 17 વર્ષનો પુત્ર અને 18 વર્ષની પુત્રી સાથે રહેતા હરીશભાઇને 20મી તારીખે તબિયત બગડી હતી.
હરીશભાઈના પત્ની સુશીલાબેનની વ્યથા
' તેમને બે દિવસથી અશક્તિ લાગતી હતી એટલે 22મી તારીખે તેમને ખાનગી હોસ્પિટમા લઇ ગયા ત્યા એક દિવસ રાખ્યા અને બ્લડ ટેસ્ટ કરાવ્યા તો બધુ નોર્મલ આવ્યુ એટલે ડોક્ટરે કહ્યું કે કોરોનાની શંકા છે ગોત્રી હોસ્પિટલમા લઇ જાવ. અમે 23મીએ તેમને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા તેઓને એક રૂમમાં આઇસોલેટેડ કરી દેવામાં આવ્યા. હું રાત્રે હોસ્પિટલમાં જ રોકાઇ પરંતુ તેમને મળવા દેવામાં ના આવ્યા.
બીજા દિવસે રવિવારે હું નહાવા માટે ઘરે આવી અને પછી મે તેમને ફોન કર્યો તો તેઓએ ફોન ના ઉપાડયો. વારંવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા ન હતા એટલે હું હોસ્પિટલ પહોચીને તપાસ કરી તો મને એવુ કહેવામાં આવ્યુ કે તેઓ પલંગ પરથી પડી ગયા છે અને બેભાન થઇ જતા ICUમાં દાખલ કર્યા છે.
મે તેમને જોવા માટે કહ્યું તો મને મળવા ની ના પાડી દેવામાં આવી. મારી તેમની સાથે શનિવારે ફોન ઉપર વાત થઇ હતી તેઓ કહેતા હતા કે જમવાનું નથી આપ્યુ અને પીવાનું પાણી પણ નથી. મને લાગે છે કે અશક્તિના કારણે તેઓ સવારે પડી ગયા હશે. ત્યાં ઘોર બેદકરારી છે. કોઇ ધ્યાન આપવાવાળુ નથી. રવિવારે સવારે બેભાન હાલતમાં તેમને ICUમાં દાખલ કરાયા પછી અમને મળવા દેવામાં નથી આવ્યા.
હુ ત્રણ દિવસ હોસ્પિટલમા જ રોકાઇ હું રોજ ડોક્ટરો અને નર્સને કરગરતી હતી કે મને મળવા દો. વિડિયો કોલ કરીને મને એક વાર મોઢુ બતાવો પણ કોઇએ મારી મદદ ના કરી. તેમને શું થયુ છે એ પણ કોઇ કહેતુ નહતું. છેલ્લે મંગળવારે સાંજે અમને કહેવામાં આવ્યુ કે તેમને કોરોના થયો છે અને રાત્રે એક વાગ્યે કહ્યું કે તેમનું મોત થયુ છે. ચાર દિવસથી મે મારા પતિનું કે બાળકોએ તેના પિતાનું મોઢુ પણ જોયુ નથી અને મંગળવારે અમને કહ્યું કે સીધી સ્મશાનમાં પહોંચી જાવ ત્યાં લાશ આવી જશે. હું ચાર દિવસ હોસ્પિટલમાં રોકાઇ મે જોયુ રોજ રાત પડે એટલે લાશોની લાઇન લાગે છે અને મંગળવારે મારા પતિની લાશ આ લાઇનમાં આવી."
રાજ્યમાં કોરોના વાયરસનો વધતો પ્રકોપ
રાજ્યમાં કુલ 15195 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.ય કોરોના પોઝિટિવ બાદ કુલ 7549 લોકો સાજા થયા અને કોરોનાથી રાજ્યમાં કુલ 938 લોકોના મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં કુલ 6721 કોરોના એક્ટિવ કેસ છે.