સુરતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3500થી વધુ થયો છે. હાલમાં દરરોજ 60થી 70 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા સરકાર હરકતમાં આવી છે. ત્યારે હવે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સુરતની મુલાકાત લીધી હતી.
સુરતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3500ને થયો પાર
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સુરતની લીધી મુલાકાત
જયંતિ રવિએ જિલ્લા કલેકટર અને પાલિકા કમિશનર સાથે કરી બેઠક
જયંતિ રવિએ સુરતમાં જિલ્લા કલેકટર, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પાલિકા કમિશનર સાથે બેઠક કરી. કોરોના અંગેની કામગીરીની જયંતિ રવિએ સમીક્ષા પણ કરી હતી. કામગીરીની સમીક્ષા બાદ જયંતિ રવિએ નિવેદન કે, સિવિલના તબીબો સાથે મળીને રિવ્યૂ કર્યું છે.
આગામી સમયમાં સુરતમાં કોરોનાની ટીમને વધુ સજ્જ કરવામાં આવશે. અત્યાર સુધી 1100 લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. જે તમામ લોકોને કામ સોંપવાની વ્યૂહ રચવાની બનાવવામાં આવી રહી છે.
તંત્ર દોડતું થયુ
સુરતમાં કોરોના કેર યથાવત છે ખાસ કરીને રત્નકલાકાર કોરોનાની વધુ ઝપેટમાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમા 82 રત્નાકલાકાર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. રત્નાકલાકારમાં વધતા જતાં કેસનો કારણે તંત્ર દોડતું થયું છે. હાલ પુણા,સરથાણા,મોટા વરાછાની 56 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ છે. તેમજ કતારગામ-સરથાણા ઝોનમાં 60 હજાર લોકોને હોમ કોરોન્ટાઇન કરવાનું સૂચન કરાયું છે.
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ નોંધાઇ રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 540 કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં અવસાન થયા છે. અને 340 જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 26 હજાર 198 પર પહોંચ્યો છે. તો મૃત્યુ આંક 1 હજાર 619 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 18 હજાર 167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ 312, સુરત 93, વડોદરા 45, મહેસાણા 12, ગાંધીનગર 9, જામનગર 9, ભરૂચ 9, પાટણ 8, અરવલ્લી 7, રાજકોટ 4, કચ્છ, જુનાગઢ અને નર્મદામાં 4-4, વલસાડ 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા , દાહોદ અને સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો હતો.રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6 હજાર 412 છે. જેમાંથી 67 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 6 હજાર 345 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે