આરોગ્યમંત્રી કુમાર કાનાણીના શહેરમાં જ લાલિયાવાડી ચાલી રહી છે કોરોનાની મહામારીમાં હાલ સુરત અમદાવાદનેય હંફાવી રહ્યુ છે ત્યારે સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત સિવિલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયાના 11મા દિવસે ઘરે ફોન આવ્યો, ‘તમારી માતાની તબિયત સારી છે, નિયમિત દવા લે છે’ ત્યારે ફોન પર આ શબ્દો સાંભળી મૃતકના દીકરો આશ્ચર્યમાં મૂકાઇ ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદકારી
મહિલા દર્દીના મૃત્યુ બાદ 11 દિવસે મૃતકના દીકરાએ કર્યો ફોન
મહિલાની તબિયત સારી હોવાની અપાતી હતી માહિતી
મળતી માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં રૂકમાબેન સુર્યવંશી પરિવાર સાથે રહેતા હતા. ગત 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને G-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગત 20 જુલાઈના રોજ રૂકમાબેન તબિયત સારી હોવાનું પરિવારને જણાવ્યું હતું.
ત્યારબાદ સાંજે 4 વાગ્યે હાલત ગંભીર હોવાનું કહીં તેમના પુત્ર પવનને જૂની બિલ્ડીંગ માં G-4 વોર્ડમાં બોલાવ્યો હતો. કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકોમાં રૂકસાનાબેનના મૃત્યુની જાણ કરાઈ હતી.
મૃત્યુ થયાના 11 દિવસ બાદ મૃતકના દીકરાને ફોન આવ્યો
મૃત્યુ થયાના 11 દિવસ બાદ મૃતકના દીકરાને ફોન આવે છે કે તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે, તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે, તમને ફોન કરે છે કે નહીં? જેથી પુત્ર વિચારમાં પડી ગયો હતો. ત્યારે મૃતકના દીકરાએ સુરત સિવિલ પર આક્ષેપ કર્યા છે કે મારા માતાની તબિયત સારી હતી તો તેમનું નિધન કેવી રીતે થયું. શું સારવાર ચાલી રહી હતી તે અંગે પણ અમને કોઇ જાણ નહોતી કરાઇ.