રાજકોટમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ન બેડ છે ન ઓક્સિડન ન ઈન્જેક્શન. હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તમે જ જુઓ આ વરવી વાસ્તવિકતા
રાજકોટમાં હાલ ઓક્સિજનની અછત
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ કતારો
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે બેડ નથી મળતા
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા કોરોના કેસ સામે આરોગ્ય સુવિધાને લઈને સવાલ ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ક્ન્વેન્શન હોલમાં બનાવેલી કોવિડ હોસ્પિટલ શરૂ જ નથી કરાઈ કારણ છે ઓક્સિજનનો અભાવ.
કોરોનાના કહેરમાં મહિલાની વ્યથા
રાજકોટમાં કોરોનાના કહેરમાં દર્દીના સગાઓની વ્યથા સમજાય તેમ છતાં મદદ કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે પોતાના પતિ માટે ઈન્જેક્શન લેવા દોડાદોડી કરી રહેલી મહિલાની વ્યથા VTV દ્વારા સામે આવી છે. રેમડેસિવિર લેવા આવેલી મહિલા કહે છે કે, મારા પતિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને હું રેમડેસિવર ઈન્જેક્શન માટે હાલ ફરી રહી છું. મહેરબાની કરીને ઇન્જેક્શન દર્દીઓને મળે તેવી કલેક્ટર વ્યવસ્થા કરે તો સારુ. ઓક્સિજનના બાટલા માટે શાપર જવું પડે છે. સારવાર માટે સિવિલમાં બેડ નથી મળતો. મહામારી છે પણ સાવ હવે આવી?
રાજકોટમાં હાલ ઓક્સિજનની અછત
રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર કતારો યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં હજુ પણ એમ્બ્યુલન્સ-ખાનગી વાહનોની કતાર લાગેલી છે. દર્દીને ગાડીમાં જ સારવાર લઈ રહ્યા છે. પરિવારજનો દ્વારા ઓક્સિજન બોટલો શોધી ઓક્સિજન આપી રહ્યા છે. ક્યારે હોસ્પિટલમાં સારવાર મળશે તેની રાહ જોવાઇ રહી છે.
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ કતારો
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ કતારો લાગેલી છે. કુંડાલીયા કોલેજ બહાર દર્દીઓના સ્વજનો વહેલી સવારથી કતારમાં ઉભા છે. કોલેજ બહાર લાઇનમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત આંખે ઉડીને દેખાઈ તેવી છે.
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે બેડ નથી મળતા
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે બેડ નથી મળતા. 5 ખાનગી હોસ્પિટલમાં કેપિસિટિ કરતા વધુ દર્દીઓ દાખલ છે. 240ની કેપેસિટિ સામે 261 દર્દીઓ દાખલ થયા છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પણ કેપેસિટી કરતા પણ વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઓક્સિજન ની સમસ્યા સર્જાતા નવા દર્દીઓ ને દાખલ કરવામા હોસ્પિટલ ના પાડે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...