દેશમાં કોરોના વાયરસ મહામારીના ગત 24 કલાકમાં રેકોર્ડ સૌથી વધુ કેસ સામે આવ્યા છે. સોમવારે (18 મે 2020) એ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 5242 નવા કેસની પુષ્ટી થઇ છે, જે એક દિવસના હિસાબે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.
સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 5242 નવા કેસની પુષ્ટી થઇ છે
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને કુલ 96169 થઇ ગઇ છે
જ્યારે આ દરમિયાન 157 લોકોના મોત પણ થયા છે. આમ ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને કુલ 96169 થઇ ગઇ છે. તેમાંથી 56316 કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 36834 લોકો કોરોના બીમારીથી સાજા થઇ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં આ મહામારીથી કુલ 3029 લોકોના મોત થઇ ચૂક્યા છે.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લૉકડાઉન 4.0 ના જાહેર કરાયેલા દિશાનિર્દેશોમાં આર્થિક ગતિવિધિને વધારવા માટે 31 મે સુધી વધુ છૂટ અપાઇ છે. જેમા મોલને છોડીને બજારોમાં હેર કટીંગ, સલૂન અને સ્પા સહિત અન્ય દુકાનોને અલગ-અલગ સમય પર ખોલવાની મંજૂરી અપાઇ છે.
જોકે, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાત્રે કરફ્યૂ યથાવત રહેશે. એનો અર્થ એ થયો કે સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બિન જરૂરી યાત્રાઓ પર પ્રતિબંધ રહેશે અને અધિકારી તેનુ પાલન કરાવશે.