ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. 108ની લાંબી કતારો ખતમ નથી થઈ રહી અને તેમાં વેઈટીંગ ચાલી રહી છે.
અમદાવાદમાં એમ્બ્યુલન્સનું લાંબુ વેઈટિંગ
VTVના રિયાલીટી ચેકમાં ખુલાસો
3 દિવસ પછી એમ્બ્યુલન્સ આવશે તેવો જવાબ!
ગઈકાલ સુધીમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. ત્યારે લોકોને સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદમાં એમ્બ્યુલન્સનું લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યુ છે. 108માં 3 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જ્યારે VTVએ ફોન કરીને રિયાલીટી ચેક કર્યુ હતુ કે કેટલા કલાકમાં એમ્બ્યુલન્સ આવે છે તેમાં કેટલું વેઈટીંગ જોવા મળે છે ત્યારે VTVના રિપોર્ટર સાથે જે વાતચીત થઈ આવો જોઈએ.
શું મળ્યો જવાબ?
VTVના રિપોર્ટર જયંતિ ચૌધરીએ 108ના કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે, 3 દિવસ પછી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થઈ શકશે. શહેરમાં હજારો દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જુએ છે. હાલ એમ્બ્યુલન્સ સેવામાં 20 થી 24 કલાકનું વેઈટિંગ સામાન્ય છે. પણ એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓના મૃત્યુના કિસ્સા સામે આવે છે. 108માં જે વેઈટિંગ ચાલે છે તેની જવાબદારી કોની તેવા સવાલ ઉઠી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 157 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 157 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 598 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,24,539 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...