રાજ્યના આર્થિક અને સામાજિક પાટનગર ગણાતા અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. શહેરમાં ગુરુવારે કોરોનાના 12,354 કેસ અને વધુ 28 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 898 પર પહોંચ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે, પરંતુ કોરોનાથી દર્દીનું મોત પણ થયું છે. એક પ્રકારે સમગ્ર અમદાવાદ કોરોનાની દહેશત હેઠળ છે. જે રીતે કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તે જોતાં આગામી મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં કોરોનાનો મૃત્યુઆંક 1000 થાય તો નવાઈ પામવા જેવું નથી.
શહેરમાં મંગળવાર સુધીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો એક હજારને આંબશે
દેશના સૌથી હોટસ્પોટ શહેર અમદાવાદમાં કોરોનાનો સકંજો મજબૂત બની રહ્યો છે
મધ્ય ઝોનમાં સૌથી વધુ 310 તો ઉત્તર-પશ્ચિમમાં સૌથી ઓછાં 12 મોત નોંધાયાં છે
અમદાવાદના કોરોનાએ બિહામણું ચિત્ર ઊભું કર્યું છે. મ્યુનિ. તંત્ર દ્વારા કોરોના પર અંકુશ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કન્ટેન્મેન્ટ વિસ્તાર પર તંત્ર ખાસ ધ્યાન આપે છે, તો હવે કોરોનાએ બીજા વિસ્તારમાં ભયજનક રીતે માથું ઊંચક્યું છે. તેમાં પણ ગયા સોમવારથી જાહેર થયેલા અનલોક-1થી અમદાવાદમાં કોરોના વધુ ઝડપભેર પ્રસરી રહ્યો છે. લોકડાઉનમાં છૂટછાટ અપાતાં અનેક જગ્યાએ સોશિયલ ડિસ્ટસ્ટિંગ જળવાતું નથી, જેના કારણે કોરોનાના સાઇલન્ટ કરિયર દ્વારા આ રોગોનો ઉપદ્રવ ચોતરફ ફેલાઈ રહ્યો છે.
માસ્ક વગર ફરનારા લોકો સામે પણ તંત્ર હવે કડકાઈથી કામ લેતું નથી. શહેરમાં 150 જેટલી ટીમ માસ્ક ના પહેરવાના મામલે નાગરિકોને પેનલ્ટી ફટકારવાની કામગીરી સાવ હાસ્યાસ્પદ રીતે કરી રહી છે. દરરોજના માંડ 11થી 12 હજારનો દંડ આખા શહેરમાંથી આ ટીમ વસૂલી રહી છે. ઉપરાંત જે તે એકમને સીલ કરવાનું તો સત્તાવાળાઓ જાણે કે ભૂલી જ ગયા છે.
કોરોનાના દર્દીની સારવારમાં પણ તંત્રમાં આપસી સંકલન ન હોઈ મૃત્યુના કેસમાં ઉછાળો આવ્યો છે. જૂનના પહેલા ચાર દિવસમાં જ 96 દર્દીનો કોરોનાએ ભોગ લીધો છે. અનલોક-1માં કોરોનાનો રિકવરી રેટ વધ્યો હોવાના તંત્રના દાવા વચ્ચે ડેથરેટમાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી છે, જે ચિંતાજનક બાબત છે.
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ મોત
કોરોનાના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1155 દર્દી મરણને શરણ થયા છે, જે પૈકી એકલા અમદાવાદમાં 81 ટકા મૃત્યુ નોંધાયાં છે, જ્યારે દેશમાં પણ મૃત્યુઆંકના મામલે અમદાવાદમાં કુલ 18 ટકા દર્દીનાં મોત થયાં છે. દિલ્હીમાં 606, પશ્ચિમ બંગાળમાં 273, મધ્ય પ્રદેશમાં 371, તામિલનાડુમાં 208 દર્દીનાં મોત થયાં હોઈ મૃત્યુઆંકના મામલે પણ અમદાવાદમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ દર્શાવે છે.
દક્ષિણ ઝોનમાં 187ના મોત
એક સમયના કોરોનાના એપી સેન્ટર પુરવાર થયેલા કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાં સદનસીબે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા ઘટી છે. તેમ છતાં આજની સ્થિતિએ પણ મધ્ય ઝોનમાં કોરોનાથી સૌથી વધુ 310 દર્દી મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ ઝોનમાં 71, ઉત્તર ઝોનમાં 154, પૂર્વ ઝોનમાં 136, દક્ષિણ ઝોનમાં 187 અન દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 28 અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછાં 12 મૃત્યુ નોંધાયાં છે.
કોરોના વોરિયર્સ ફરજ બજાવતી વખતે મૃત્યુને ભેટે છે
લોકડાઉન ખૂલ્યાના ચાર દિવસમાં કોરોનાના કેસ તેમજ મૃત્યુમાં થયેલો વિક્રમી વધારો ચિંતાજનક બાબત હોવા છતાં ભાજપના શાસકો પણ તંત્રની 'સરકારી ગાઇડલાઇન' આગળ શાંત પડ્યા છે. એટલે કે કોરોનાના સંદર્ભે અનેક પ્રશ્નના ઉત્તર હજુ મળ્યા ન હોવા છતાં શહેરમાં તો સરકારી રાહે જ કામગીરી ચાલતી રહેશે તેવું મ્યુનિ. ભાજપનાં વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ જે પ્રકારે કોરોના વોરિયર્સ ફરજ બજાવતી વખતે મૃત્યુને ભેટે છે તે બાબત પર તાકીદે ધ્યાન આપવાની માગણી ઊઠી છે. નહીંતર આગામી દિવસોમાં દર્દીની હાલત વધુ કફોડી બનશે તેમ ચર્ચાઈ રહ્યું છે.