રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસે માઝા મૂકી છે ત્યારે હવે ગુજરાતના પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામમાં 7 દિવસ માટે સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યું છે.
કોરોનાનો 1 કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉન
ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
ચા,ઠંડા પીણા,પાનના ગલ્લા 7 દિવસ રહેશે બંધ
પોરબંદરના વિસાવાડ ગામને બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનો એક કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
જેથી ચા, ઠંડા પીણા,પાનના ગલ્લા 7 દિવસ માટે બંધ રહેશે. જયારે ગામમાં મેડિકલ સેવાઓ ચાલુ રહેશે. જરૂરી કામ સિવાય ગામની બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ બહાર ગામના કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ મળશે નહીં.
રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિ
રાજ્યમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સતત 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં નવા 1052 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તો એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મૃત્યુ થયા. જ્યારે કોરોનાને મ્હાત આપીને એક દિવસની અંદર 1015 દર્દીઓ સાજા થયા.
રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 હજાર 874 થઇ
નવા 1052 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 હજાર 874 થઇ છે. રાજ્યમાં હાલ 13 હજાર 146 એક્ટિવ કેસ છે. જેમાંથી 81 દર્દી વૅન્ટિલેટર પર છે અને 13 હજાર 65 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 41 હજાર 380 લોકો સાજા થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 2 હજાર 348 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ ગુજરાતમાં એક દિવસની અંદર 25 હજાર 474 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં 6 લાખ 67 હજાર 844 ટેસ્ટ થયા છે.