ગુજરાતમાં કોરના વાયરસની સૌથી વધુ અસર શહેરોમાં થઈ છે અને એમાંય, અમદાવાદ, સુરતમાં સૌથી વધુ અસર જોવા મળી છે અને વળી અહીં જ અન્ય રાજ્યોમાંથી આવતા લાખો લોકોને ધંધો રોજગાર મળી રહે છે ત્યારે હાલ નોકરી ધંધા બંધ હોવાને કારણે સુરતમાં પરપ્રાંતિયોની સ્થિતિ કફોડી બની છે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના લોકોની પરિસ્થિતિ તો વધુ ગંભીર છે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકારને એક આજીજી કરી હતી.
સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા દેવા માંગ
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટથી કરી માંગ
દરેક આફતમાં હમેંશા અડીખમ સુરત ખુદ બેરોજગાર: ધાનાણી
સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા દેવા માંગ કરતી પોસ્ટ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કરી છે. તેમણે ટ્વીટર પર આ અંગે ટ્વીટ કરી છે. દરેક આફતમાં હમેંશા અડીખમ સુરત ખુદ બેરોજગાર બન્યુ છે. ત્યારે સુરત ભૂખમરા સાથે કોરોનાની કઠણાઈ ભોગવી રહ્યું છે. આવામાં તેમના આરોગ્યની ચકાસણી કરીને તેમને માટે સૌરાષ્ટ્રના દરવાજા ખુલ્લા મુકવાની માંગ કરી હતી.
""આફતમાં રૂણ ચુકવવાનો અવસર""
આપણી દરેક આફતમાં હમેંશા 'અડીખમ'
ઉભું રહેનારુ 'સુરત' ખુદ બેરોજગારી અને
ભૂખમરા સાથે કોરોનાની કઠણાઈ ભોગવી
રહ્યું છે ત્યારે..,
આરોગ્ય સલામતીની ચકાસણી સાથે સમગ્ર
"'સૌરાષ્ટ્ર"' નાં દરવાજા ખુલ્લા મુકવા સરકાર
સહિત સૌને વિનંતી કરું છું..!
સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો નોકરી-ધંધા માટે સુરત આવીને વસ્યા છે જેમના નોકરી ધંધા અને દુકાનો છેલ્લા દોઢ મહિનાથી બંધ છે અને હજુ આવનારા સમયમાં પણ ખુલવાની કોઈ સંભાવના નથી. ત્યારે પરપ્રાંતિયોને જેમ પોતાના રાજ્યમાં જવા દેવામાં આવી રહ્યા છે તેમ સૌરાષ્ટ્રના લોકોને પણ પોતાના વતન જવા દેવા જોઈએ તેવી માંગ કરી છે.
સુરતમાં અત્યાર સુધીમાં 661 કેસ અને 28 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે હવે અહીંથી બીજા જિલ્લામાં લોકોને જઈ દેવા જોખમી છે. કેમ કે, તે ગ્રીન ઝોન ધરાવતા જિલ્લામાં પણ કોરોનાનો ચેપ ફેલાવી શકે છે.