ગુજરાતમાં કોરોના દર્દીની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આજની સ્થિતિએ રાજ્યમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હોઇ અત્યાર સુધીમાં કુલ ૩૩ લોકો કોરોનાગ્રસ્ત થયા છે, જોકે કોરોનાનો મૃત્યુઆંક વધ્યો છે. આ લખાય છે ત્યારે અમદાવાદમાં સવારે સાડા અગિયારની સ્થિતિએ કોરોના પોઝિટિવનો કોઇ નવો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૩ થઈ
ગાંધીનગર-સુરતમાં નવા બે-બે કેસ નોંધાયા
રાજ્યમાં ૧૧ હજાર કરતાં વધુને હોમ આઇસોલેશન હેઠળ રખાયા
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇ કાલે કોરોના પોઝિટિવના કુલ ૨૯ કેસમાં આજે નવા ચાર કેસ નોંધાયા છે, જે પૈકી બે કેસ સુરત અને બે કેસ ગાંધીનગરના છે. સુરતના બંને દર્દી પુરુષ છે, જ્યારે ગાંધીનગરમાં એક પુરુષ અને એક સ્ત્રી છે. કોરોનાના આ ચાર નવા દર્દી પૈકી એકની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે, જ્યારે ત્રણ લોકોને ચેપ લાગ્યો છે.
કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ ૧૧,૧૦૮ લોકોને હોમ આઈસોલેશન હેઠળ મુકાયા છે તેમ જણાવતાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ વધુમાં કોરોના સામે લડત આપવા માટેની રાજ્ય સરકારની તૈયારીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૧૫૦૩ આઇસોલેશન બેડની વ્યવસ્થા હોઇ આજની તારીખમાં સરકારી હોસ્પિટલમાં કુલ ૬૦૯ વેન્ટિલેટર અને મા યોજના અમૃતમ વાત્સલ્ય યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં ૧૫૦૦ વેન્ટિલેટરની વ્યવસ્થા છે.
જે તે જિલ્લામાં જરૂરિયાત મુજબ વેન્ટિલેટર મોકલાવી શકાય તેવું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા ઘડાયું છે. ઉપરાંત ગ્રાન્ટેડ હોસ્પિટલ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથેની ચર્ચા-વિચારણા હેઠળ વોલન્ટિયર ડોક્ટરની વ્યવસ્થા ઊભી કરાઇ છે. રાજ્ય સરકાર પાસે હાલમાં એન-૯૫ માસ્કનો સ્ટોક ૪૫,૦૦૦ છે તેમજ ૨૯,૫૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ કિટ છે. રાજ્ય સરકારની તાવ સંબંધિત ૧૦૪ હેલ્પ લાઇન પર ગઇ કાલ સુધી કોરોનાની પૂછપરછને લગતા કુલ ૨૪ કોલ આવ્યા હતા.
દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં ગઇ કાલ મોડી રાત સુધી ૧૮ કોરોનાના શંકાસ્પદ દર્દીને આઇસોલેશન વોર્ડમાં આઇસોલેટ કરાયા છે અને આ દર્દીના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ગત તા. ૬ ફેબ્રુઆરીથી તા. ૨૩ માર્ચ, ૨૦૨૦ સુધી એસવીપી હોસ્પિટલમાં કોરોનાના કુલ ૯૩ શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયા હતા, જે પૈકી કુલ ૬૯ દર્દીના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, જ્યારે હાલમાં કુલ ૧૮ શંકાસ્પદ દર્દી આઇસોલેશન વોર્ડમાં તંત્રની દેખરેખ હેઠળ છે. આ તમામ શંકાસ્પદ દર્દીના બ્લડ ટેસ્ટને કોરોનાના પરીક્ષણ માટે મોકલાયા છે, જોકે હજુ સુધી એક પણ દર્દીનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો નથી.
બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના કુલ છ દર્દી હાલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે તેમ એસવીપી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ જણાવે છે, જોકે આજે અમદાવાદમાંથી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી.