કોરોના વાયરસના પગલે ગુજરાત સહિત ભારતમાં લોકડાઉન કરાતા રોજ કમાઈને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે. સરકારે જાહેર કરેલી સહાય તેમની સમજની બહાર છે. હાલ તો સ્થાનિકો મદદ કરે તો જ મેળ પડે એમ છે. જો કે ગુજરાત પોલીસ, અમદાવાદ કોર્પોરેશન અને અનેક સામાજિક સંસ્થાઓ મદદે આવી છે. સ્થાનિકો પણ મદદ કરી રહ્યા છે પરંતુ અમુક લોકો સુધી મદદ પહોંચી નથી રહી. ત્યારે એમ થાય કે શું આવાનારા સમયમાં જે મુશ્કલીઓ સર્જાવાની છે તેના દર્શ્યો આનાથી પણ ખરાબ હશે?
ફૂટપાથ પર રહેતા લોકોનું શું
ભુખ તો લાગે જ
કોરોનાથી નહીં ભુખથી મરી જશે આ લોકો
કોરોનાની મહામારીએ આખા વિશ્વને ઘુંટણીએ પાડી દીધુ છે. અમેરિકાનો આંકડો ચીનને વટાવીને 85000 પોઝિટિવ દર્દીઓ થઈ ગયો છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 800ને પહોંચવા આવ્યો ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ કંઈ સારી નથી કોરોના પોઝિટિવના કેસની સંખ્યા 45 થઈ ગઈ છે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અઠવાડિયામાં જ ગુજરાતમાં કોરોનાએ પોતાનું પોત પ્રકાશ્યુ છે. ત્યારે ગુજરાતીઓની હાલત કફોડી છે.
વ્યથા ઘણુ કહી જાય છે.
અમદાવાદમાં દૂરદૂર્શન ટાવર વાળા રોડ ઉપર, નિર્ણયનગર ગરનાળા પાસે, વસ્તાપુર ફૂટપાથ ઉપર, અને આવા તો કેટલાય જાહેર રોડ ઉપર રોજ સાયકલ કે લારી લઈને કમાવવા નીકળનારા અને પછી ફૂટપાથ ઉપર જ મીણીયુ બાંધીને છત બનાવી સુઈ જનારા લોકો કે જેમની પાસે કોઈ વતન જ નથી અને કોઈ ઘર જ નથી તેમની વ્યથા ઘણુ કહી જાય છે.
એમના બેંકમાં ખાતા જ નથી
હાલ રોજે રોજ કમાઈને ખાતા અને છુટક વેપાર કરીને પેટીયુ રડતા હજારો લોકો એક બે દિવસથી ભુખ્યા ટળવળી રહ્યા છે. સરકારી સહાયની જાહેરાતો થઈ છે પણ જે ખરેખર વગર ના છે જેમની પાસે તો કોરોનાથી બચવા ઘર જ નથી બેંક એકાઉન્ટ જ નથી. જે રોજ પાંચ રૂપિયાની ચા, 10 રુપિયાનું તેલ, પાંચ રૂપિયાની ખાંડ, મીઠુ વગેરે માલસામાન ખરીદીને રોડ ઉપર જ ચુલો સળગાવીને પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરે છે એવા લોકોનું શું?
જેમને ઘર જ નથી એમનું શું?
જે લોકો બહારના રાજ્યમાંથી આવ્યા છે અથવા તો એક શહેરથી બીજા શહેર આવ્યા છે તેવા લોકોએ તો વતનની વાટ પકડી પણ જેમની પાસે ઘર જ નથી કોરોન્ટાઈન થવા માટે તેમનું શું? ભુખ તો તેમને પણ લાગે જ છેને? સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કરોડોના પેકેજો કે હેલ્પલાઈન નંબરો આ રોડ ઉપર વસતા અને રોજ કમાઈને રોજ ખાતા સ્થાનીકો માટે કોઈ કામના નથી કારણ કે તેમને તે વાતની જાણ જ નથી.
સેનેટાઈઝ એટલે શું એ પણ તેમને ખબર જ નથી.
નહાવું ધોવુ, ચોખ્ખાઈ, આ બધુ આ હજારો ફુટપાથ પર વસતા અને સ્થાનિક જ કે જેમની પાસે રહેવા માટે કોઈ ઘર જ ન હોય તેમનું શું? તંત્ર દ્વારા સમાજ સેવી સંસ્થાઓ દ્વારા કે પોલીસ દ્વારા મદદ અપાઈ રહી છે પણ તંત્ર ક્યાંક કાચુ પુરવાર થયુ છે. આ જ લોકો શાકપાંદડાની લારીવાળા છે કે, સામાન્યપ્લાસ્ટીકની કટલરી, કે ફુગ્ગો કે એવો જ કોઈ સામાન વેચીને પેટીયુ રળનારા લોકો છે. તેમને જો કોરોનાનો ચેપ લાગશે તો ફેલાતા કોઈ વાર નહીં થાય કારણ કે સામાન્ય માણસ સુધી વસ્તુ પહોંચાડનાર માણસો આ જ હતા. તંત્ર દ્વારા ખરેખર કોઈ ખાસ પગલે લેવાય તો સારૂ એવું આ દહાડીયા લોકો જણાવે છે.