કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની ગાઇડ લાઇન બહાર પડાઇ છે. જે મુજબ રાત્રી ફરફયુ હટાવી લેવાયો છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ ઓગસ્ટથી જિમ ખોલવાની અનુમતિ અપાઇ છે. દરમિયાન અનલોક-૩ના સમયગાળામાં પણ રાજ્યભરના સહેલાણીઓમાં પ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ ગેટ પર લાગેલાં તાળાં ખૂલવાના નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ હજુ એક મહિનો લોકો માટે બંધ રખાશે તેવું જાણવા મળ્યું છે.
ર૩૮થી વધુ બાગ-બગીચા પણ અનલોક-૩માં બંધ રહેશે
નવરાત્રિની ઉજવણી નહીં થાય તેવી સૂચના
એએમટીએસ અને બીઆરટીએસ બસને પણ સાબરમતી નદી પાર કરવાની અનુમતિ નહીં મળે
આમ તો કાંકરિયા લેકફ્રન્ટને ગત તા.૧ જૂનથી પહેલી વખત લોકડાઉન બાદ અપાયેલી વ્યાપક છૂટછાટ વખતે પણ ખોલવાની અનુમતિ અપાઇ ન હતી. અમદાવાદમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જતો હોવાના કારણે મ્યુનિ. સત્તાવાળાઓએ તા.૧થી ૩૦ જૂન સુધીના અનલોક-૧ના સમયગાળામાં કાંકરિયા લેકફ્રન્ટને બંધ જ રાખ્યું હતું.
ત્યાર બાદ ચાલુ જુલાઇ મહિનાના તા.૧થી અમલમાં મુકાયેલા અનલોક-ર હેઠળ પણ સત્તાવાળાઓએ કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ ગેટને સહેલાણીઓ માટે ખોલ્યા ન હતા. કુમારિકાઓના ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત વખતે પણ પ્રથમ વખત કાંકરિયા લેકફ્રન્ટ બંધ રહ્યું હતું.
નવરાત્રિની ઉજવણી નહીં થાય તેવી સૂચના
હવે જ્યારે બે દિવસ બાદ ગુજરાત સહિત દેશભરમાં અનલોક-૩ શરૂ થઇ રહ્યું છે તેવા સમયે કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટે ખોલી દેવાશે કે કેમ? તેની નવેસરથી ચર્ચા ઉપડી છે, પરંતુ જે પ્રકારે રાજ્ય સરકારે લોકોને જન્માષ્ટમી, ઇદ અને સંવત્સરીની પણ ઘરે જ ઉજવણી કરવી પડશે અને કોરોનાની સ્થિતિ ગંભીર રહેશે તો નવરાત્રિની ઉજવણી નહીં થાય તેવી સૂચના આપી છે. તેને જોતાં કાંકરિયા લેકફ્રન્ટ આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી સહેલાણીઓ માટે ખોલી દેવાય તેવી શકયતા નહિવત છે.
ર૩૮થી વધુ બાગ-બગીચા પણ અનલોક-૩માં બંધ રહેશે
કાંકરિયા લેકફ્રન્ટની જેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના લો ગાર્ડન, પરિમલ ગાર્ડન સહિતના ર૩૮થી વધુ બાગ-બગીચા પણ અનલોક-૩માં બંધ રહેશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ બાગ-બગીચાને પણ નાગરિકો માટે ખોલી દેવાના મૂડમાં નથી.
એએમટીએસ અને બીઆરટીએસ બસને પણ સાબરમતી નદી પાર કરવાની અનુમતિ નહીં મળે
રાજ્ય સરકાર દ્વારા હવે કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટોને આધારે રાજ્યમાં અનલોક-૩ હેઠળની છૂટછાટ જાહેર કરાશે પરંતુ તેમાં કાંકરિયા લેકફ્રન્ટ અને મ્યુુનિ. બાગ-બગીચાને ખોલવાની છૂટછાટ નહીં અપાય તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એએમટીએસ અને બીઆરટીએસ બસને પણ સાબરમતી નદી પાર કરવાની અનુમતિ નહીં મળે. હાલની જેમ જ આ બંને બસ સર્વિસ પૂર્વના વિસ્તારમાં અને પશ્ચિમના વિસ્તારમાં ચાલતી રહેશે.