અમદાવાદમાં કોરોના લોકડાઉનમાં વતન પરત ફરવા માટે ટ્રેનની રાહ જોતા લોકોનું દુખ કંઈક અજુગતુ જ છે. અહીં બેઠેલા મજૂર વર્ગને ખબર જ નથી કે લોકડાઉન એટલે શું અને એ કેટલા દિવસ ચાલવાનું છે. આ લોકોને મદદની જરૂર છે. પણ મદદ ક્યાંથી મળે એ પણ તેમને ખબર નથી. આઠ દિવસે તેમને અહેસાસ થઈ રહ્યો છે કે, કંઈક ગંભીર સમસ્યા થઈ છે. અને દરેક જણની જેમ જ તેમને પણ ઘર અને પરિવાર યાદ આવ્યો છે. પણ પરિવાર પાસે કેવી રીતે જઉં?
બસ એકવાર ઘરે પહોંચી જઉં
પરિવારને મળી લઉં
કંઈ નથી જોઈતુ, મારો પરિવાર જોવો છે
ટ્રેનની રાહ જોઇ રહેલા લોકોની આંખોમાં આંસુ છે. અને દિલમાં વતન જવાનો વલવલાટ. કોરોના શું છે? કેમ લોકડાઉન થયુ છે? એ બધાથી આ લોકોને કોઈ મતલબ નથી. અહીં કામ ધંધો બંધ થઈ ગયો છે એટલે આ લોકોને પોતાનો પરિવાર યાદ આવ્યો છે અને પરત જઉં છે પણ ક્યાં તે મોટો પ્રશ્ન છે. કારણ કે, સરહદો બંધ છે રસ્તાઓ બંધ છે.
એક યુવાન 8 દિવસથી ફૂટપાથ પર રહી રહ્યો છે. પરિવારને મળવા માટે લોકો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનના ફૂટપાથ પર લોકો રહેવા મજબૂર બન્યા છે. આ લોકો સરકાર અને પોલીસ પાસે ઘરે પરત મોકલવાની માંગનું જ રટણ કરી રહ્યા છે.
કેમ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો?
છેલ્લા 8 દિવસથી ભુખ્યો છું. મારો મોબાઈલ ચોરાઈ ગયો. પૈસા, પાકિટ બધુ ચોરાઈ ગયુ. છેલ્લા 8 દિવસથી હું ફુટપાથ પર છું. મને એમ કે એકાદ દિવસમાં આ બધી ધમાલ પતી જશે. લોકડાઉન એટલે શું? મને નથી ખબર. મને ક્યાંય કામ પણ નથી મળી રહ્યુ. પોલીસ પણ મદદ નથી કરી રહી ઉપરથી દંડા મારી મારીને પાછા તગેડી દે છે. ક્યાં જઉ? શું કરું? મારે ઘરે જઉં છે. મને મદદ કરો.
કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે હાલ ટ્રેન સેવા સહિતના તમામ વાહનવ્યવહાર બંધ છે. જેને લઇ લોકો પરેશાન છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકો રડી રહ્યાં છે. પરિવારને મળવા માટે લોકો રડી રહ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશનના ફૂટપાથ પર રહેવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે લોકોએ સરકાર અને પોલીસને માગ કરી છે કે તેમને વતન પરત મોકલવામાં આવે.