ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે, દરરોજ નોંધાઇ રહેલા કેસો ચિંતાજનક છે ત્યારે ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતેન કુમારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી હતી.
કોરોનાની સ્થિતિ મુદ્દે હિતેન કુમારની વ્યથા
ફેસબુક પોસ્ટના માધ્યમથી ઠાલવ્યો ગુસ્સો
"ગુજરાતી બંધુઓ જીવ બચાવવા વલખા મારે છે"
હિતેન કુમારે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મુકી હતી કે, તંત્રની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને ગુજરાતી બંધુઓ જીવ બચાવવા વલખા મારી રહ્યા છે.
જાણો શું લખ્યું ફેસબુક પર?
નમષ્કાર મિત્રો,
કોઈ પણ 'પોલિટિકલ એષણા' વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું.
'મુંબઈ'માં રહું છું,પણ એક ઘર અમારુ 'ગુજરાત'માં (સુરતમાં) પણ છે જ.
મારા મૂળિયાં 'ગુજરાત'ના જ છે,
અને કાયમ રહેશે જ.
અસંખ્ય સગાવહાલા,દોસ્તો,
મિત્રો-ચાહકો મારા ગુજરાતમાં જ છે.
મારા જીવનનો મહત્તમ સમય મેં ગુજરાતમાં વિતાવ્યો છે,વર્ષો સુધી એના દરેક પંથકમાં રગદોળાયો છું.દરેક ગામડે,તાલુકે કે શહેરોમાં લોકોના પ્રેમથી ભીંજાયો છું.અને જયારે એ લોકોને પડતી તકલીફો માટે બોલવાની ઈચ્છા ધરાવતો હોવ ત્યારે હું ગુજરાતનો કેમ ના કહેવાઉં???
મારી જન્મભૂમિ ભલે મુંબઈ હોય પણ કર્મભૂમિ ગુજરાત રહી છે અને રહેશે જ.
અત્ર,તત્ર,સર્વત્ર આજે સ્થિતિ લગભગ એક સમાન છે.
સદ્દનસીબે મુંબઈ છોડીને.
આજે મહત્તમ કોવીડના આંકડા મહારાષ્ટ્રમાં છે એ હકીકત છે.પણ મુંબઈ શહેર છેલ્લા થોડા દિવસોથી ખુબ સરસ રીતે 'રિકવર' કરી રહ્યું છે એ પણ હકીકત છે જ. આસપાસના મોટા ભાગના અને અમારા એપાર્ટમેન્ટમાં પણ ઘણા દર્દીઓ છે જ. પણ કોઈક કારણસર અહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ "અંધાધૂંધી" નથી ફેલાઈ.
અહીં આપણા દેશના કોઈ પણ બીજા રાજકીય પક્ષની 'વાહવાહી' નથી જ કરતો,પણ કોઈક ચોકક્કસ વ્યવસ્થા ગોઠવાઈ તો છે જ જેને કારણે આ વખતે આવી ભીષણ પરિસ્થિતિમાં પણ 'અફરાતફરી' નથી મચી એ હકીકત છે.એક એવું શહેર જે આપણા દેશમાં સૌથી વધુ વસ્તી થી ફાટફાટ થાય છે.એવું શહેર જ્યાં દર્દીઓ અને મરણનો આંક ખુબ ડરાવી દે તેવો રહ્યો. પણ જે રીતે ધીમેધીમે ફરી ઉભું થઇ રહ્યું છે એમાં કોઈક પ્રયત્નો તો 'સિસ્ટમ ચલાવવા વાળા' અને એ સિસ્ટમને 'ફોલૉ કરવાવાળા'નો પણ છે જ.
આવું જ આપણે ત્યાં પણ થઇ જ શકે જો એ જ "ઇચ્છાશક્તિ" રાખવામાં આવશે તો.
આજ સુધી મારી ભૂતકાળની કોઈ પણ પોસ્ટમાં ક્યારેય કોઈ "બીજા પક્ષનો જયજયકાર" નહિ જ દેખાય તમને.પણ જે પક્ષમાં તમે એટલો વિશ્વાશ મુક્યો હોય,એ પક્ષની 'નાકામીઓ' ભૂલો તરફ 'આંખ મિચામણાં' એ પણ લોકોના 'જીવના ભોગે' કરી રીતે શક્ય છે દોસ્તો??
માનું છું કે આપણું ગુજરાત
આજે ખુબ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે ત્યારે તંત્ર તરફથી મંથર ગતિએ ચાલતા અમુક કાર્યો જેમાં અસંખ્ય લોકોના જીવ જતા બચી શકે એ વિશે ફરિયાદના સૂરમાં કૈક કહેવું એ ગુનો છે?
ફરી એક વાર અમુક મિત્રોને હાકલ કરું છું કે મારી ભૂતકાળની એક પણ પોસ્ટ કોઈ બીજા પક્ષની તરફદારી કરતા શોધી બતાવે.
જે ગુજરાતને મારી જન્મભૂમિ કરતા વધારે ચાહ્યું છે સતત,એ ગુજરાતના બંધુઓને જીવ બચાવવા માટે વલખા મારતા મૂંગા મોઢે જોયા કરવું કેટલું વ્યાજબી છે.???
હશે ઘણા એવા 'સેલિબ્રિટી મિત્રો' જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.
કારણકે એમાં મારી કોઈ પણ 'રાજકીય એષણા' નથી જ.
માત્ર એક નાગરિક તરીકે આપણા લોકોની 'હાલાકી' ક્યાંક ઓછી થઇ શકે એ જ પ્રયત્ન.
ઈશ્વરને પ્રાર્થના કરું હૃદયથી કે 'આપણું ગુજરાત,આપણા ગુજરાતીઓ અને આપણા દેશબાંધવો સલામત રહે'.
જલ્દી આ ભિષણ પરિસ્થિતિ માંથી બહાર આવી જાય.'જય શ્રી કૃષ્ણ'.
નમષ્કાર મિત્રો, કોઈ પણ 'પોલિટિકલ એષણા' વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું. 'મુંબઈ'માં રહું છું,પણ એક ઘર...
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.