એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દી ને દાખલ કરવાની ના પાડી શકાય નહીં
હાઈકોર્ટ સૂઓમોટો અરજી પર સુનાવણી
108 વિના સારવાર ન મળતી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત
108ની લાંબી લાઈનોનો પણ હાઈકોર્ટમાં હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલની રજૂઆત
હાઈકોર્ટ સૂઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી જેમાં આધારકાર્ડ ફરજિયાત કરવાના નિર્ણયને પણ રદ કરવાની માગ ઉઠી છે. 108ના પ્રવેશના કારણે લોકો સારવાર વિના મરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આનંદ યાજ્ઞિકે જણાવ્યુ હતુ કે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી ક્વોટા વધારીને 50% કરવો જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે.
અમદાવાદ બહારથી પણ ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવે છે. માં વાત્સલય, આયુષ્યમાન ભારત કાર્ડનું સંકલન કરી ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવી જોઈએ વળી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરુ કરવાનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.
હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો
એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દી ને દાખલ કરવાની ના પાડી શકાય નહીં. 900 બેડની હોસ્પિટલ ચાલુ થઈ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવાર ના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.
એડવોકેટ એસો. વતી એડવોકેટ ઓમ કોટવાલે પણ રજૂઆત કરી હતી કે, આધારકાર્ડ અંગે AMCનો આ નિર્ણય અયોગ્ય છે. આધાર કાર્ડ હોય તો RTPCR મરજીયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી.
ગુજરાત સરકારે શું જવાબ કર્યો હતો જવાબ
હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારે કોર્ટમાં ઓનલાઇન સોગંદનામું રજૂ કર્યું છે.
108 મામલે કરી કબૂલાત
હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સથી જ પ્રવેશ અપાતો હોવાની કબૂલાત કરવામાં આવી છે. AMC અને 162 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 108 એમ્બ્લુલન્સથી પ્રવેશ આપવામાં આવે છે. હોસ્પિટલની બહાર વેઇટિંગ હોય તો 108માં જ સારવાર અપાય છે.
ઈન્જેક્શન અને ઓક્સિજન અંગે પણ કરી સ્પષ્ટતા
ઓક્સિજન અને રેમડેસિવિલનો અંકુશ કેન્દ્ર સરકારે લીધો છે. રાજ્યમાં 52 હજાર 36 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.વધુમાં જણાવવામાં આવ્યુ છે કે 1 થી 23 એપ્રીલ સુધીમાં 33 લાખ 62 હજાર 965 ટેસ્ટ થયા છે. જેમાં 13 લાખ 14 હજાર 264 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસેથી રેમડેસિવિરનો વધુ જથ્થો માંગ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 158 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 7,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,82,426 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
અમદાવાદે તો મુંબઈને પણ પાછળ છોડ્યું
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળમૂખી બનીને આવી છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદે કોરોનાના કેસમાં મુંબઈને પાછળ છોડ્યું છે. મુંબઈમાં ગઇકાલે 5,542 કેસ નોંધાયા હતા. જ્યારે આજે એકલા અમદાવાદમાં 5,619 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોતથી ખળભળાટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 158 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. જેને લઇને રાજ્યમાં કુલ 6486 દર્દીઓના મોત કોરોનાને કારણે થયાં છે. મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ મહેસાણાએ ચિંતા વધારી
મહાનગરોમાં કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. મહેસાણામાં 531 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,59,093 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5619 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1472 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 404 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 528 કેસ, જ્યારે ગ્રામ્યમાં 178 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 546 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...