મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ ખાનગી કોન્ટ્રાકટના કોરોના વોરિયરના પગાર કાપના મામલે ગઇ કાલે વિવાદમાં આવી હતી. આને પગલે હવે તમામ ખાનગી કોન્ટ્રાકટના કર્મચારીઓને પણ પોતાની સીધી દેખરેખ હેઠળ મૂકયા છે. જેમાં SVP સહિતની તમામ મ્યુનિસિપલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. જોકે હવે SVP હોસ્પિટલના મેડિકલ હેલ્થ બુલેટિનનો નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ. તંત્ર દ્વારા SVP હોસ્પિટલને લગતું દરરોજ સાંજે પ્રસિદ્ધ કરાતું મેડિકલ બુલેટિન બંધ કરી દેવાતાં મ્યુનિ. વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે.
તંત્ર હવે કોરોના દર્દીના અપડેટથી લોકોને અંધારાંમાં રાખવાની નીતિ અપનાવી રહ્યું છે
1000 કરોડને ખર્ચે તૈયાર કરાઈ હોસ્પિટલ
SVP હોસ્પિટલની ગણના કોર્પોરેટ સીટની હોસ્પિટલ સાથે કરાય છે. આશરે રૂ.1,000 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરાઇ છે. આ હોસ્પિટલમાં કોરોના દર્દીનો મૃત્યુઆંક પણ અસારવા સિવિલ હોસ્પિટલ કરતાં ઓછો હોઇ નાગરિકોમાં એસવીપી હોસ્પિટલ પ્રત્યેનો વિશ્વાસ કંઇક અંશે જળવાઇ રહ્યો છે.
ખુદ લોકોના પ્રતિનિધિ એવા કોર્પોરેટર, ધારાસભ્ય વગેરે પણ કોરોનાની સારવાર માટે SVP હોસ્પિટલને વધુને વધુ પસંદ કરે છે અને અસારવા સિવિલ કે સોલા સિવિલને બદલે SVP હોસ્પિટલમાં સારવાર લે છે. SVP હોસ્પિટલમાં દરરોજ સારવાર લેતા દર્દીને લગતું મેડિકલ બુલેટિન પણ પ્રસિદ્ધ કરાતું હતું. જોકે છેલ્લા એક અઠવાડિયાથી તંત્ર દ્વારા હવે આ મેડિકલ બુલેટિન પ્રસિદ્ધ કરાતું નથી.
છેલ્લા અઠવાડિયાથી આ માહિતી પર પડદો પાડી દેવાયો
છેલ્લે ગત તા.1 જૂને એટલે કે લોકડાઉન ખુલી જવાના પહેલા દિવસે સત્તાવાળાઓએ મેડિકલ બુલેટિન પ્રસિદ્ધ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ મેડિકલ બુલેટિન અપાતું જ નથી. આ મેડિકલ બુલેટિનથી મીડિયા મારફતે અમદાવાદીઓને SVP હોસ્પિટલનો રોજનો મૃત્યુઆંક, કુલ દાખલ દર્દી, સારવાર હેઠળના દર્દી, ડિસ્ચાર્જ દર્દી, દર્દીના પેન્ડિંગ રિપોર્ટ, વેન્ટિલેટર અને ઓક્સિજન પરના દર્દી વગેરેની માહિતી મળતી રહેતી હતી. જોકે છેલ્લા અઠવાડિયાથી આ માહિતી પર પડદો પાડી દેવાયો છે.
તંત્ર કોરોનાની માહિતીમાં પણ હાથ ઊંચા કરી રહ્યું છે
તંત્ર હવે કોરોના દર્દીના અપડેટથી લોકોને અંધારામાં રાખવાની નીતિ અપનાવી રહ્યું છે. જોકે આ નવી નીતિ રીતિથી ખુદ શાસક ભાજપ પક્ષના કોર્પોરેટરોમાં છૂપો ગણગણાટ ફેલાયો છે. અમુક બોલકા કોર્પોરેટર કહે છે તંત્ર કોરોનાની માહિતીમાં પણ હાથ ઊંચા કરી રહ્યું છે તે બાબત બિલકુલ ચલાવી લેવાય તેમ નથી. અમારા પક્ષના ઉચ્ચ હોદ્દેદારોએ આ અંગે વહીવટી તંત્રને વિશ્વાસમાં લેવું જોઇએ. નાગરિકોને તંત્ર દ્વારા અપાતા વરસાદના આંકડા કરતા કોરોનાના અપડેટમાં જ સ્વાભાવિકપણે વધુ રસ છે. એટલે શાહમૃગી નીતિ અપનાવીને તંત્ર કોરોનાનો મુકાબલો કરી શકે તેમ નથી.