લૉકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોને પોતાના માદરે વતનમાં પહોંચાડવા માટે સરકારે વ્યવસ્થા કરી છે પરંતુ શ્રમિકો પાસેથી વસૂલાતા ભાડાને લઇને રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસે તમામ શ્રમિકોને પોતાના વતનમાં પહોંચાડવા માટેનો ખર્ચ ચૂકવવાનું કહ્યું હતું ત્યારે આજે ગાંધીનગર MLA સી.જે.ચાવડા શ્રમિકો માટેની ટિકિટના પૈસા પહોંચાડવા માટે મામલદાર પાસે પહોંચ્યા હતા ત્યારે તેમણે આ પૈસા સ્વીકારવાની ના પાડી હતી. બીજી બાજુ ભાજપના મંત્રી કાનાણીએ સુરતથી જતા શ્રમિકો માટે કોંગ્રેસને ભાડું ચૂકવવા માટે કહે છે.
શ્રમિકોના ભાડાનું રાજકારણ ગરમાયું
કોંગ્રેસ 4 લાખ રૂપિયા આપવા પહોંચ્યું તો મામલતદારનો સ્વીકારવાનો ઈન્કાર
બીજી બાજુ ભાજપના મંત્રી કોંગ્રેસને ભાડુ ચૂકવવા માટે કહે છે
કોંગ્રેસ ધારાસભ્ય C. J ચાવડાએ કહ્યું હતું કે અમને જાણ થઈ કે ગુરુવારે ગાંધીનગરથી પરપ્રાંતિયોને મોકલવાના છે તો અમે મામલતદારને પૂછ્યું હતું કે આ લોકોનો કેટલો ખર્ચ થશે. જેમાં અમને આશરે 4 લાખનો અંદાજ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમે અમારા કોર્પોરેટર અને કાર્યકરોએ મળીને ગાંધીનગર મામલતદાર ઓફિસે પૈસા જમા કરાવવા ગયા હતાં. જ્યાં મામલતદારે કહ્યું આ પૈસા લેવાનો ઈન્કાર કર્યો હતો. મામલતદારે કહ્યું હતું કે શ્રમિકોને સ્ટેશન પર તમે એક એક કરીને તેમના હાથ પર આપી શકો છો.
કોંગ્રેસ શ્રમિકોને ભાડાના પૈસા ચૂકવે છે પણ મામલતદાર સ્વીકારતા નથી
ઉલ્લેખનીય છે કે, 1 હજાર શ્રમિકોને UP મોકલવા બાબતે ગાંધીનગરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે.ચાવડાએ આજે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, કોંગ્રેસ શ્રમિકોને ભાડાના પૈસા ચૂકવે છે પણ મામલતદાર સ્વીકારતા નથી.
મામલતદારે નાણા સ્વીકારવાનો કર્યો ઇનકાર
નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવેદન પ્રમાણે ગાંધીનગરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે.ચાવડા શ્રમિકોને વતન પહોંચાડવા માટે ગાંધીનગર કોંગ્રેસે એકઠા કરેલા 4 લાખ રૂપિયા લઇને મામલતદાર પાસે પહોંચ્યા હતા. જો કે, મામલતદારે આ નાણાનો સ્વીકાર કરવાનો નનૈયો ભણ્યો હતો અને સી.જે.ચાવડાએ આ મામલે જણાવ્યું હતું કે, મામલતદાર શ્રમિકો પાસેથી 650 રૂપિયા માગી રહ્યા છે. ત્યારે હવે આ મામલો વધ ગરમાયો છે.
બીજી બાજુ ભાજપના મંત્રી કોંગ્રેસને પૈસા ચૂકવવાનું કહે છે
બીજી બાજુ આજે મંત્રી કુમાર કાનાણીએ સુરતમાંથી 4 જિલ્લાઓમાં જવા માટે એસ.ટી બસને પરવાનગી આપીને રવાના કરી હતી. આ દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસ શ્રમિકોના ભાડા મુદ્દે ખોટી રાજનીતિ કરી રહ્યું છે. જો એવું હોય તો આજે જે 4 જિલ્લામાં જવાના બસભાડા નક્કી કરાયા છે તેનું ભાડું કોંગ્રેસ ચૂકવી શકે છે.
આવામાં એક બાજુ કેન્દ્ર સરકાર કહે છે કે શ્રમિકો પાસેથી ભાડું લેવાનું કહેવામાં આવ્યું નથી. બીજી બાજુ રાજ્ય સરકાર અહીં શ્રમિકોને સ્વખર્ચે મોકલી રહી છે. જ્યારે કોંગ્રેસે પણ શ્રમિકોના ભાડા ચૂકવવાની વાત કરી રહી છે પરંતુ સમગ્ર આ ભાડાના રાજકારણમાં હાલ તો ન સરકાર કે ન કોંગ્રેસ પરંતુ શ્રમિક પોતાના વતન જવા માટે ભાડું ચૂકવી જ રહ્યો છે તે હકીકત છે.