કોરોનાએ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. રાજકોટમાં પણ એક પોલીસ પરિવાર માથે આભ ફાટ્યુ છે. દીકરીના લગ્ન લીધા હતા અને દંપત્તિનું કોરોનામાં મોત થયુ છે.
પહેલા પતિનું કોરોનાથી અવસાન
એ જ રાતે પત્નીએ પણ પકડી અનંતની વાટ
24મી મેએ લીધા હતા દીકરીના લગ્ન
ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કંઈ કેટલાય પરિવારના મોભી અનંતની વાટે ઉપડી ગયા છે ત્યારે વધુ એક હદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં ફરજ બજવાતા ASI અને તેમના પત્નીનું કોરોનાથી મોત થયુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટ શહેરમાં બી ડિવિઝનમાં ફરજ બજાવતા 47 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અમૃતભાઇ માયાભાઇ રાઠોડનું સોમવારે બપોરે કોરોનાથી મોત થયુ હતુ. ત્યારે તેમની અંતિમવિધિ પતી અને રાતે અમૃતભાઈના પત્ની લાભુબેનનું પણ મોત થયું હતુ. આ દંપત્તી કોરોનાગર્સત થયુ હતુ અને અમૃતભાઈ હોસ્પિટલ હતા જ્યારે લાભુબેન ઘરે સારવાર લઈ રહ્યા હતા.
24મી મેએ લીધા હતા દીકરીના લગ્ન
અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં નોધારાં થઈ ગયાં છે. રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કરુણતા એ છે કે આવતા મહિને એટલે કે 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, જેના હાથે કન્યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.
ગોંડલમાં પણ દંપત્તીનું કોરનામાં મોત
ગોંડલના 45 વર્ષના જિતેન્દ્રભાઈ ઠુંમર અને તેમના પત્ની વસંતબેન પણ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. જીતેન્દ્રભાઈ જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સુક્લ નજીક રહેતા હતા અને એક પાનની દુકાન ચલાવતા હતા. તેમને પણ સંતાનોમાં દીકરો-દીકરી છે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.
આ 2 જિલ્લાઓમાં ચિંતા વધી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1553 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 375 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 460 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...