કોરોના મહામારીમાં ગુજરાત કોરોના મોડલ હોવાના પોકળ દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લાવવા જિલ્લાઓમાંથી મેડિકલ ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમને 15-15 દિવસે રિલિવરની જેમ બદલવાની હોય પણ પરિસ્થિતિ એવી થઈ છે કે, ગુજરાતના જિલ્લાઓમાં પણ મેડિકલ સ્ટાફ નથી અને અમદાવાદ આવેલી જિલ્લાની મેડિકલ ટીમ ફસાઈ પડી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
જિલ્લામાંથી 15-15 દિવસ માટે બોલાવાઈ હતી મેડિકલ ટીમ
21 દિવસ છતાં પરત નથી મોકલાઈ ટીમ
જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ વધ્યાં
શું હતા આરોગ્ય વિભાગના આદેશ
1લી જૂનના આદેશ કરવામાં આવ્યો હતો. કે જિલ્લામાંથી ટીમો અમદાવાદ મનપાને મદદ માટે મોકલવામાં આવે તેવો આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાઓને આદેશ કરવામાં આવ્યો હતો. ધન્વતંરી રથ માટે અમરેલી જિલ્લામાંથી 5 આયુષ મેડિકલ ઓફિસ, 8 આરબીએસકેની ટીમને 21 દિવસ માટે અમદાવાદ મોકલાઈ હતી. પરંતુ 21 દિવસ પૂરા થવા છતાં તેમને પરત ન મોકલાતા આ અંગે અમરેલી જિલ્લા કલેક્ટરે ગાંધીનગર આરોગ્ય વિભાગને પત્ર લખીને રજૂઆત કરી છે.
શું છે મામલો?
અમદાવાદમાં કોરોનાની મહામારીની ગંભીરતા જોતા અલગ અલગ જિલ્લામાંથી આરોગ્યની ટીમોને મદદ માટે મોકલવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં આરબીએસકે તબીબ અથવા આયુષ તબીબ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસીસ્ટ, સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા એફએચડબલ્યુ વગેરેની ટીમ 15 દિવસ માટે અમદાવાદ મનપાની મદદ માટે મોકલાવાના આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં 15-15 દિવસે ટીમ બદલવાની પણ વાત હતી. આ અંગે અમદાવાદ મનપાના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીને રિપોર્ટીંગ કરવાનું હતુ. 15 દિવસ પતે એટલે આ મેડિકલને તેમના જિલ્લામાં પરત મોકલવાની વ્યવસ્થા અમદાવાદ મનપાએ કરવાની હતી પરંતુ હજુ સુધી અરવલ્લીની ટીમને પરત મોકલવામાં આવી નથી.
શું કહે છે અમરેલી જિલ્લા કલેક્ટર
અમરેલીથી 13 જણાની ટીમ 21 દિવસથી અમદાવાદ ધન્વતંરી રથ માટે મોકલવામાં આવી છે. ત્યારે હવે અમરેલીમાં પણ કોરોનાના વધુ કેસ નોંધાતા હવે બીજી રિલિવિંગ ટીમ મોકલી શકાય તેમ નથી. તો જે લોકો અમદાવાદ મનપામાં સેવા આપવા આવ્યા છે તેમને પરત અમરેલી મોકલવામાં આવે. આ અંગે આરોગ્ય ખાતાને અમરેલી જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી છે.
શું કહે છે અમદાવાદ હેલ્થ ઓફિસર
અમદાવાદના મપના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતુ કે, અમરેલીથી રિલિવિંગ ટીમ હજુ સુધી આવી નથી એટલે અમે આદેશ મુજબ તેમને પરત મોકલી ન શકીએ. જો ત્યાંથી રિલિવિંગ ટીમ આવશે તો અમે તેમને પરત મોકલી દઈશું.
શું કહે છે અમરેલીથી આવેલ મેડિકલ ટીમ
અમરેલીથી આવેલી મેડિકલ ટીમનું કહેવું છે કે, અમને અહીં 21 દિવસથી પણ વધારે થઈ ગયા છે. અમરેલીમાં પણ કેસ વધી રહ્યા છે. ત્યાંથી કોઈ રિલિવર આવી શકે તેવી શક્યતા નથી ત્યારે અમને પરત મોકલવામાં આવે એ હીતમાં છે પણ અમને પરત મોકલવાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી રહી.