ગુજરાતમાં કોરના સંકટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી આપવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી અને રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ધીરજ રાખો પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરો. કોઈપણ સંજોગોમાં લોકડાઉનનું ભંગ અને કાયદાને હાથમાં લેવો યોગ્ય નથી. ગઈકાલે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લેવાતા વાહનોને આગચંપી અને પોલીસ પર પથ્થરમારાના બનાવ બન્યા હતા.
પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરો, ધીરજ રાખીને રાહ જૂઓ
જેમને મંજૂરી મળી છે તેને જવા દેવામાં આવશે
સવારના 7થી રાતના 7 બહાર ન નીકળો
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. સાંજના સાતથી સવારના 7 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધનો ચુસ્ત અમલ, ત્રણેય ઝોનમાં આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃતિઓ બંધ રહેશે.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જરૂરી છૂટછાટ અપાઈ
ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જરૂરી છૂટછાટ અપાઈ છે. પણ પાસ સાથે જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવર થઈ શકશે. અમુક લોકો બિનઅધિકૃત રીતે પાસ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવાં લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવશે.
ધીરજ રાખીને રાહ જૂઓ
સાથે જ કહ્યું કે, અન્ય રાજ્યોમાં લોકોને મોકલવાની વ્યવસ્થા વધુ તેજ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ચાલુ જ રહેશે. સંખ્યા ખુબ જ વધુ હોવાથી સમય લાગી શકે છે. પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરો. ધીરજ રાખીને રાહ જૂઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ કડક કાર્યવાહી કરશે.
સુરતમાં જે થયુ તે યોગ્ય નથી
ગઈ કાલે સુરતમાં પરપ્રાંતિયો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. વાહનોને આગચંપી અને પોલીસ પર પથ્થરમારા સહિતના બનાવો બન્યા હતા જે બિલકુલ યોગ્ય નથી.