અમદાવાદમાં કોરોનાના સંકટ વચ્ચે હોસ્પિટલની મનમાની સામે આવી છે. AMC સંચાલિત SVP, VS, શારદાબેન હોસ્પિટલમાં 61 બેડ ખાલી, ખાનગી હોસ્પિટલમાં 3869 બેડ પૈકી 40 જ બેડ ખાલી, AMC સંચાલિત હોસ્પિટલમાં વધુ બેડ ખાલી છે હાલ 108નું સંચાલન પણ AMC કરી રહ્યું છે AMCના અધિકારીઓ 108ને ખાનગી કે સિવિલમાં મોકલે છે.
AMC દ્વારા વગદારો માટે SVPમાં બેડ ખાલી રાખવાનો કારશો રચાઈ રહ્યો છે. વગદારો માટે AMCના અધિકારીઓ બેડ ખાલી રાખે છે. AMCની હોસ્પિટલોનો વહીવટ IAS અધિકારીઓના હાથમાં છે જ્યારે સિવિલ હોસ્પિટલનો વહીવટ સુપ્રિટેન્ડેન્ટના હાથમાં છે. સિવિલના સુપ્રિટેન્ડેન્ટ અણઘડ વહીવટ સામે કોઈ બોલી શકતા નથી. સિવિલમાં હોદેદારો તબીબ છે જ્યારે AMCમાં વહીવટ કરતા અધિકારીઓ છે. IAS અધિકારીઓના અણઘડ વહીવટથી દર્દીઓ પિસાઈ રહ્યા છે
UN મહેતા હોસ્પિટલને રાજકીય નેતાઓ-VVIPઓ માટે રાખી છે અને સામાન્ય નાગરિક માટે સિવિલ હોસ્પિટલ રખાઈ છે. SVP, UN મહેતામાં જગ્યા હોવા છતાં પણ સમાન્ય નાગરિકને દાખલ નથી કરતા.
સળગતા સવાલ
જનતા માટે હોસ્પિટલો છે કે નેતાઓ અને VVIP માટે?
શું IAS અધિકારી પોતાની મનમાની કઈ રીતે ચલાવી શકે?
UN અને SVPમાં બેડ ખાલી છતાં સામાન્ય જનતાને દાખલ કેમ નથી કરતા?
શું આ રીતે કોરોનારૂપી મહામારીને હરાવશો?
શું એક માત્ર સિવિલ જનતાનો બોજ ઉઠાવી શકશે?
IAS અધિકારીઓને હોસ્પિટલનો વહીવટ સોંપ્યો છે તો મનફાવે તેમ કરશે?
શું આ અધિકારીઓ જનતાનું દુઃખ દર્દ નથી સમજી શકતા?
સિવિલ બહાર લાગતી એમ્બ્યુલન્સની લાઈનો આ અધિકારીને નથી દેખાતી?
પરિવારજનો દર્દીને દાખલ કરવા હાથ જોડી રહ્યા છે છતાં કેમ નથી દાખલ કરાતા?
બેડ ખાલી રાખીને અધિકારીઓ શું સાબિત કરવા માગે છે?
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 158 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 7,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,82,426 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
અમદાવાદે તો મુંબઈને પણ પાછળ છોડ્યું
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળમૂખી બનીને આવી છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદે કોરોનાના કેસમાં મુંબઈને પાછળ છોડ્યું છે. મુંબઈમાં ગઇકાલે 5,542 કેસ નોંધાયા હતા. જ્યારે આજે એકલા અમદાવાદમાં 5,619 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોતથી ખળભળાટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 158 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. જેને લઇને રાજ્યમાં કુલ 6486 દર્દીઓના મોત કોરોનાને કારણે થયાં છે. મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ મહેસાણાએ ચિંતા વધારી
મહાનગરોમાં કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. મહેસાણામાં 531 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,59,093 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5619 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1472 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 404 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 528 કેસ, જ્યારે ગ્રામ્યમાં 178 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 546 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...