કોરોનાની મહામારી સામે લડતા લડતા જનજીવન સામાન્ય થઈ રહ્યુ છે પરંતુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના સામે જીતીને આવેલા લોકો ફરીથી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના 2 ડોક્ટરોને ફરીથી કોરોના
6 ડોકટર અને 1 મહિલા દર્દીને ફરીથી કોરોના થયો
સંક્રમિત થયા બાદ પણ નથી બનતી એન્ટીબોડી
ગુજરાતમાં કોરોનાનો સિંકજો ધીરે ધીરે વધુને વધુ મજબૂત બનાવી રહ્યો છે ત્યારે હવે તબીબી આલમમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 6 ડોક્ટરોને કોરોના થઈને મટી ગયા બાદ ફરીથી કોરોના થયો છે.
અમદાવાદમાં કોરોના મામલે ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે. એક વખત કોરોના થયા બાદ ફરીથી કોરોના થવાના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલના 2 ડોક્ટરોને ફરીથી કોરોના થયો છે. કુલ 6 ડોકટર અને 1 મહિલા દર્દીને ફરીથી કોરોના થયો છે. સંક્રમિત થયા બાદ પણ એન્ટીબોડી બનતી નથી. ડોકટરોને ફરીથી કોરોના થતા તબીબી આલમમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,06,966 પર પહોંચ્યો છે. તો આજે 1445 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.87% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,351 છે. આજે સંક્રમણથી 13 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3136 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે.
સૌથી વધુ આ જિલ્લામાં સાજા થયા દર્દી
રાજ્યમાં આજે 1445 દર્દીઓ સાજા થયા છે જેમાં સુરતમાં 231, જામનગરમાં 130, સૌથી વધુ રાજકોટમાં 320 દર્દીઓ સાજા થયા છે.
આજે 72,076 કોરોના વાયરસના ટેસ્ટ થયા
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,25,447 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.