મહામારીમાં પણ કેટલાક લોકો દેવદૂત બનીને લોકોની મદદ કરી રહ્યા છે. કહેવાય છેને કે ભગવાન ખુદ નથી આવતા પણ માણસના વેશમાં મદદગાર મોકલે છે. આવી જ એક અદ્ભૂત ઘટના આજે ઘટી
અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો દેવદૂત બન્યા છે. અમદાવાદ શહેરમાં ઓટો એમ્બ્યૂલન્સની શરૂઆત કરવામાં આવી છે. આ રિક્ષા દ્વારા દર્દીઓને વિના મૂલ્યે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. PPE કીટમાં સજ્જ રિક્ષા ચાલકો એક કોલમાં દર્દીઓને સેવા આપશે.
માત્ર એક કોલથી દર્દીને સેવાનો લાભ મળશે
આ માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા માટે દર્દી પાસે કોઇ ચાર્જ નહી વસૂલાય. અને 7600660760 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ રિક્ષા ચાલકોને પનાહ નામની સંસ્થા ભાડુ આપશે. 10 રિક્ષા એમ્બ્યુલન્સ હાલ પુરતી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટ કરાવવા અને દવા લાવવા માટે પણ મદદ પૂરી પાડવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14352 નવા કેસ સામે આવ્યા છે જયારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત કહી શકાય કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકો રિકવર પણ થયા છે.
કોરોનાની ગતિ ધીમી પડી!
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
ગુજરાતનો ચિતાર
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં કાળ કોરોનાએ લોકોના જીવ લીધા
કોરોના વાયરસના કારણે સૌથી વધારે તાંડવ અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે 5669 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1858 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયા છે.