અમદાવાદમાં પ્રતિબંધોથી જનતા પરેશાન છે. અધિકારીઓના મનસ્વી નિર્ણય સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
AMTS, BRTS બંધ કરીને રીક્ષાઓ ચાલુ રાખી
સિટી બસ સેવા ચાલુ રાખવા માંગ
રાજકીય પક્ષોના તાયફાઓ સામે લોકોમાં રોષ
અમદાવાદમાં પ્રતિબંધોથી જનતા પરેશાન છે. અધિકારીઓના મનસ્વી નિર્ણય સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ લોકોને આવવા-જવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. AMTS, BRTS બંધ કરીને રીક્ષાઓ ચાલુ રાખવામાં આવતા લોકોને બમણું ભાડુ ચુકવવું પડી રહ્યુ છે. વેપાર, ધંધા, નોકરી ઉપર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. યોગ્ય આયોજન સાથે સિટી બસ સેવા ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. રાજકીય પક્ષોના તાયફાઓ પર અંકુશ રાખવા માંગ કરાઈ રહી છે.
શું કહે છે મુસાફરો?
અમે ગરીબ માણસો અમારૂં કોણ? આમાં આપણે શું કહી શકીએ. રીક્ષા વાળા એક જણના 100-100 રૂપિયા ભાવ લઈ રહ્યો છે. આ રીતે તાત્કાલિક બસ બંધ કરી દીધી સામાન્ય માણસોનું શું? અમે સાવધાની કેટલી રાખીએ છીએ? અમે કામ-ધંધો નહીં કરીએ તો ખાઈ શું? બસ નથી મળી રીક્ષા ભાડા આવક કરતા વધારે છે. હવે અમે શું કરીએ? ઘરમાં રહીને પણ ભૂખ્યા જ મરીશુંને?
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તો AMTS અને BRTS બંધ થતા મુસાફરો રઝળી પડ્યા છે. વહેલી સવારે નોકરીયાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. AMCના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં 10 દિવસમાં કોરોના બેકાબૂ
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં 10 દિવસમાં કોરોના બેકાબૂ બન્યો છે. 8 માર્ચના રોજ અમદાવાદમાં 350 કોવિડના એક્ટિવ કેસ હતા. 18 માર્ચની સ્થિતિએ અમદાવાદમાં એક્ટિવ કેસ 700ને પાર પહોંચી ગયા છે. ચૂંટણી અને સ્ટેડિયમમાં મેચના કારણે સંક્રમણ ફેલાયું છે. ચૂંટણી-દર્શકોના સ્ટેડિયમમાં પ્રતિબંધ બાદ તંત્ર કામે લાગ્યું છે.
સુરતમાં પણ હાલાકી
રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 1112 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે. જેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઈ છે.. કોરોનાના નિયમની કડક અમલવારી થાય તે માટે સરકારે આદેશ આપ્યા છે. અને તેની અમલવારી માટે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. 4 મહાનગર માટે સરકારે 5 અધિકારીઓની પસંદગી કરી છે. જેમાં અમદાવાદની જવાબદારી ડૉ. રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. ઉપરાંત વડોદરાની જવાબદારી મિલિંદ તોરવણે, વિનોદ રાવને સોંપાઈ છે.. જ્યારે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે. અને સુરતની જવાબદારી એન. થેન્નારસનને સોંપવામાં આવી છે.