ગુજરાતમાં આજથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે પરંતુ કોરોનાએ અમદાવાદને રીતસર બાનમાં લીધુ છે ત્યારે અમુક જગ્યાએ લોકડાઉન નહીં પણ ક્ફર્યુ છે અને રીતસર સેવાઓ અને ધંધા, વેપાર ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે શું શું ખુલી જશે એની તો જાણ છે પણ શું બંધ રહેશે તે જાણવું પણ જરૂરી છે.
અમદાવાદ શહેરમાં આવેલી GIDC બંધ રહેશે
સુરતમાં આજથી ગ્રીન ઝોનમાં મળશે છૂટછાટ
આજથી રાજ્ય સરકારની કચેરીઓમાં કામકાજ શરૂ
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતને કોરોનાએ રીતસર બાનમાં લીધુ છે. એમાંય 80 ટકા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે આજથી કેટલાક ઉદ્યોગો અને સેવાઓને શરૂ કરી લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે પણ હજુ સંપૂર્ણ લોકડાઉન હટ્યુ નથી અને અમુક સેવાઓ તો બંધ જ છે. જે 3જી મે સુધી ખુલે તેવી કોઈ જ સંભાવના નથી.
કઈ કઈ સેવા રહેશે બંધ
પેસેન્જર ટ્રેન સર્વિસ
વિમાન સેવા
રસ્તા પર સામાન્ય વાહનોની અવર-જવર
સ્કૂલ-કોલેજ-કોચિંગ સેન્ટર
ઔદ્યોગિક ગતિવિધી (જેને છૂટ નથી આપવામાં આવી)
હોટલ સર્વિસ (જેને છૂટ નથી આપવામાં આવી)
સિનેમા હોલ
મૉલ, શૉપિંગ કોમ્પ્લેક્સ,
રેસ્ટોરન્ટમાં બેસીને જમવુ
રાજકીય-સામાજિક-ખેલ સાથે સંબંધિત કોઇ પણ કાર્યક્રમ પર રોક
ધાર્મિક કાર્યક્રમ પર રોક,
ધાર્મિક સ્થળ બંધ
અમદાવાદ શહેરમાં આવેલી GIDC બંધ રહેશે
રાજ્યભરમાં શરૂ થઇ રહેલા ઉદ્યોગ-ધંધાની વચ્ચે અમદાવાદ શહેરમાં આવેલી GIDC બંધ રહેશે. કોરોનાના મહામારીને પગલે રાજ્યમાં કંપનીઓ છૂટ અપાઇ છે. જો કે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવતી કંપનીઓ શરૂ નહીં થાય. જેમાં વટવા, નરોડા સહિતની GIDC બંધ રહેશે.
આજથી રાજ્ય સરકારની કચેરીઓમાં કામકાજ શરૂ
રાજ્ય સરકાર દ્વારા આજથી ઉદ્યોગોને શરતી છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આજથી સરકાર કચેરીઓમાં કામકાજ શરૂ થશે. જેમાં વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ કચેરીમાં કાર્ય કરવા માટે પહોંચશે. આ 33 ટકા સ્ટાફ સાથે કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે. જ્યારે અન્ય સ્ટાફ ઘરેથી કામગીરી કરશે. જ્યારે વર્ગ-3 અને 4ના 33 ટકા કર્મચારીઓને રોટેશન મુજબ ફરજ ઉપર બોલાવવાના રહેશે.
ભાવનગર અલંગ શિપ યાર્ડ ખાતે આજથી કામગીરી શરૂ
લોકડાઉન દરમિયાન રાજ્યભરમાં આજથી શરૂ થઇ રહેલા ધંધા-રોજગારને લઇને ભાવનગરમાં આવેલું સૌથી મોટું શિપ યાર્ડ આજથી ફરી ધમધમી ઉઠશે. ભાવનગરમાં આવેલ અલંગ શિપ યાર્ડમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા અલંગ શીપ યાર્ડમાં કામગીરીની મંજૂરી મળતા કામકાજ શરૂ થશે.
સુરતમાં આજથી ગ્રીન ઝોનમાં મળશે છૂટછાટ
સુરત શહેરમાં આજથી ગ્રીન ઝોનમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટછાટ મળશે. જો કે આ છૂટછાટ થયા પછી પણ હીરા ઉદ્યોગ શરૂ નહીં થઇ શકે. હીરાના મહત્તમ ઉદ્યોગો વરાછા અને મહિધરપુરામાં આવેલા છે. આ બંને વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાય છે, આમ કેસોને જોતાં હીરા ઉદ્યોગ શરૂ નહીં કરાય. આ અંગેનો ડાયમંડ એસોસીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.