ગુજરાતમાં કોરોનાની મહામારી ફેલાવવામાં મહાનગર અમદાવાદ અવ્વલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી 4 લોકોના મોત થઈ ચુક્યા છે અને 38 કેસ નોંધાઈ ચુક્યા છે. દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં આ મહામારીનું હૉટસ્પોટ બની ગયેલુ અમદાવાદ કોરોનાના ત્રીજા તબક્કામાં સપડાયું છે. અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે.
આખા વિસ્તાર ઉપર લાલસ્ટીકર
શહેરના પાંચ વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન
લોકોનો નથી મળી રહ્યો સહકાર
શહેરના 5 વિસ્તારોમાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. શહેરના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડાઇ છે. આ 5 વિસ્તારોના આશરે 500 ઘરોને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે જેમાં અંદાજે 22000 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે.
આ 5 વિસ્તારમાં શા માટે લેવાયો ક્લસ્ટર ક્વોરંટાઈનનો નિર્ણય
શહેરના આ 5 વિસ્તારોની એવી સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી છે જે પોઝીટીવ કેસના દર્દીના સંપર્કમાં આવી હોય. ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલી સોસાયટીના સભ્યો બહાર નહી નીકળી શકે તેમજ સોસાયટી બહારનો વ્યક્તિ અંદર નહી પ્રવેશી શકે. સોસાયટીના પ્રવેશ દ્વારને સિલ કરાયા છે. એન્ટ્રી પર પતરા લગાવીને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ક્લસ્ટર કોરન્ટાઇન કરેલી સોસાયટીના રહીશો માટે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મનપા દ્વારા પહોંચાડવામાં આવશે.
આખા વિસ્તાર ઉપર લાલસ્ટીકર
જમાલપુર, શાહઆલમ, કાળુપુર, બાપુનગર વગેરે વિસ્તારોમાં જે સોસાયટી કે પોળમાંથી વધુ પ્રમાણમાં કેસો આવી રહ્યા છે તેની આગળ પતરાં મારીને તેમજ આવ-જા એક જ એન્ટ્રી રાખીને ત્યાં એક કર્મચારીને બેસાડી દેવામાં આવે છે. આ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર લાલ રંગનું સ્ટીકર પણ મારવામાં આવી રહ્યું છે. સોસાયટીના સભ્યોની આવ-જા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અંગે મ્યુનિ. દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
લોકોનો નથી મળી રહ્યો સહકાર
ઉપરાંત જે કુટુંબમાંથી કોરોનાના દર્દી મળ્યા હોય તેના બાકીના કુટુંબીજનોને ડોક્ટર દિવસમાં ત્રણ વખત તપાસ કરીને સ્થિતિનો તાગ મેળવે છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ગઈકાલે રંગીલા ચોકમાં એક જગ્યા આ રીતે બંધ કરવા ગયેલા કર્મચારીઓને ત્યાંના રહીશોએ સહકાર આપ્યો ન હતો અને આ માટે લેખિત સૂચના લઈ આવવાનું કહ્યું હતું. બાદમાં આજે તેઓ લેખિત ઓર્ડર સાથે ગયા એટલે તેમની કામગીરી કરવા દીધી હતી.