ચીનમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. ચીનમાં ઘાતક બની ગયેલા વાઈરસને કારણે અત્યાર સુધીમાં કુલ ૨,૨૫૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ વાઈરસનો ચેપ ધરાવતા પીડિતોની સંખ્યા વધીને ૭૫ હજારને પાર થઈ ગઈ છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુબેઇમાં ૪૧૪ નવા કેસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. એકલા હુબેઈમાં જ કોરોનાને કારણે થયેલા મોતનો આંકડો ૨,૧૧૪ થઈ ગયો છે.
ચીનના હુબેઈ પ્રાંતમાં એક જ દિવસમાં વધુ ૧૧૫ લોકોનાં મોત થયાં છે
વુહાન શહેર છેલ્લા ૩૦ દિવસથી સંપૂર્ણ લોકડાઉન જ છે
હોંગકોંગ જતી તમામ ફ્લાઇટ્સ આગામી ૩૦ જૂન સુધી રદ કરવામાં આવી છે
ચીનના હુબેઈ પ્રાંતમાં એક જ દિવસમાં વધુ ૧૧૫ લોકોનાં મોત થયાં છે. હુબેઇ હેલ્થ કમિશને આજે સવારે જણાવ્યું હતું કે, પ્રાંતમાં વાઈરસના ૪૧૪ નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી ૩૧૯ એકલા વુહાનમાં છે અને બાકીના કેટલાક અન્ય શહેરોમાં નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો સૌ પ્રથમ કેસ ડિસેમ્બરમાં મધ્ય ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની વુહાન શહેરમાં નોંધાયો હતો. ત્યાર બાદ, આ ખતરનાક વાઈરસ વુહાનથી સમગ્ર ચીન સહિત વિશ્વના ૨૫થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. ચીને આજે જણાવ્યું છે કે, ગઈ કાલે કોરોના વાઈરસના ૮૮૯ નવા પુષ્ટિ થયેલા કેસ સામે આવ્યા છે.
હાલ વુહાન શહેરની સ્થિતિ એકદમ ગંભીર બની ગઇ છે. મહામારી કોરોનાને રોકવા માટે સરકાર પુરજોશમાં પ્રયાસ કરી રહી છે. હુબેઇ પ્રાંત ઉપરાંત ચીનના અન્ય ભાગોમાં પણ વાઈરસ ઝડપભેર ફેલાઇ રહ્યો છે.
વુહાન શહેર છેલ્લા ૩૦ દિવસથી સંપૂર્ણ લોકડાઉન જ છે. આમ કરવા પાછળ ચીનનું લક્ષ્ય આ મહામારીને રોકવાનું છે. ચીનના ૩૨ હજાર તબીબી કર્મચારીઓ હાલ હુબેઇ પ્રાંતમાં લોકોની મદદ કરી રહ્યા છે, જેમાં ૧૧ હજાર ક્રિટિકલ કેર પ્રોફેશનલના કર્મચારીઓ છે. આ સંખ્યા આખા દેશમાં ક્રિટિકલ કેર પ્રોફેશનલના તબીબી કર્મચારીઓનો ૧૦ ટકા હિસ્સો છે.
દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસના કારણે પ્રથમ મોત નોંધાયું છે. દક્ષિણ કોરિયાના ચોથા સૌથી મોટા શહેર ડેગુના મેયરે રહેવાસીઓને ઘરની અંદર રહેવા અપીલ કરી છે. ડેગુમાં કોરોના વાઈરસના ૫૩ કેસ સામે આવ્યા છે. શહેરના અનેક મોલ અને શોપિંગ સેન્ટર હાલ ખાલી જોવા મળ્યા છે.
આ દરમિયાન ભારત કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનના વુહાન શહેરમાં દવાના પુરવઠા સાથેનું એક સૈન્ય વિમાન મોકલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વિમાન વુહાનમાં ફસાયેલા ૧૦૦ ભારતીય નાગરિકોને પરત લાવશે. આ અગાઉ ભારતે એર ઇન્ડિયાના બે વિશેષ વિમાન મોકલીને વુહાનથી ૬૪૦ ભારતીયોને એરલિફ્ટ કર્યા હતા. હજુ પણ વુહાન શહેરમાં ભારતીયો ફસાયેલા છે અને તેમને મદદની રાહ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે, ચીનનો પ્રવાસ ન કરવા માટે આપવામાં આવેલી એડવાઈઝરી હજુ પણ અમલમાં જ રહેશે, પરંતુ પ્રવાસ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ભારત તેના સી-૧૭ લશ્કરી કાર્ગો વિમાનથી વુહાન શહેરમાં કોરોના વાઈરસ સામે લડતા લોકો માટે દવાઓની સપ્લાય મોકલી રહ્યું છે. આ માટે ભારત ચીનની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
ઘાતક કોરોના વાઈરસના સતત વધતા જતા જોખમને કારણે એર ઈન્ડિયાની શાંઘાઈ અને હોંગકોંગ જતી તમામ ફ્લાઇટ્સ આગામી ૩૦ જૂન સુધી રદ કરવામાં આવી છે.