શહેરમાં આવેલી કોરોનાની સુનામીના કારણે હજારો પરિવાર ડૂબી ગયા છે.
પતિએ પોતાની એફડી તોડાવી દવા કરાવી
સ્વજનને બચાવવા માટે પત્નીના દાગીના વેચી દીધા
કોરોનાના કેસો વધતાં વ્યાજખોરોને પણ મજા પડી ગઇ
કોરોનાકાળથી પોતાનાં સ્વજનોને બચાવવા માટે કોઇએ દાગીના વેચ્યા તો કોઇએ એફડી તોડાવી તો કોઇ વ્યાજના વિષચક્રમાં ફસાયું, આટલું જ નહીં પણ કેટલાક લોકોને પોતાનાં ઘર પણ ગીરવે મૂકી દેવાની નોબત આવી ગઇ છે.
ખાનગી હોસ્પિટલમાં રોજનો 15 હજારથી લઈ એક લાખ સુધી ખર્ચ
કોરોના મહામારીના કારણે તમામ સરકારી હોસ્પિટલો ફુલ છે ત્યારે હવે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, જ્યાં ડોક્ટરો તગડી ફી વસૂલ કરી રહ્યા છે.
કોરોના વાઇરસના કારણે માનવતા મરી પરવારી હોય તેમ જ્યાં-ત્યાં લૂંટફાટ ચાલી રહી છે. ઇન્જેક્શનમાં લૂંટ કે પછી સારવારમાં લૂંટ કે પછી ઓક્સિજન લેવામાં લૂંટ, મેડિકલ માફિયાઓને ચારેય બાજુથી બસ લૂંટી જ લેવું છે. ભલેને પછી કોરોના દર્દીનાં સગાં પોતાની જમાપૂંજી ખાલી કેમ કરી નથી દેતાં. જે સ્વજનને કોરોના થયો હોય તેને બચાવવા માટે પરિવાર મરણતોલ પ્રયાસ કરી રહ્યા છે, જેમાં રિપોર્ટથી લઇને ઇન્જેક્શન અને હોસ્પિટલના ગમે તેટલાં બિલ પણ ભરવા માટે તેઓ તૈયાર થઇ જાય છે. ખાનગી હોસ્પિટલમાં રોજનો 15 હજારથી લઈ એક લાખ સુધી ખર્ચ થાય છે.
પતિએ પોતાની એફડી તોડાવી દવા કરાવી
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના થયો, જેમને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયાં છે, જ્યાં રોજનો ચાર્જ પંદર હજાર રૂપિયા છે. આ મહિલાનો પતિ સિક્યોરિટી ગાર્ડ છે અને પુત્ર નાની-મોટી નોકરી કરી રહ્યો છે. સરકારી હોસ્પિટલો ફુલ હોવાના કારણે મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેમના પતિએ સગાંવહાલાં પાસેથી ઉછીના-પાછીના રૂપિયા કરીને હોસ્પિટલમાં ભર્યા હતા અને આ મહિલાના પતિએ પોતાની એફડી તોડાવવાનું પણ નક્કી કરી લીધું છે.
સ્વજનને બચાવવા માટે પત્નીના દાગીના વેચી દીધા
આ એક જ પરિવાર નહીં, પરંતુ હજારો પરિવાર એવા છે કે જેમણે પોતાના સ્વજનને બચાવવા માટે પત્નીના દાગીના વેચી દીધા હોય. જેમનાં સ્વપ્ન હતાં કે પુત્રીનાં લગ્નમાં દાગીના આપીશું અને પુત્રવધૂને પણ દાગીના આપીશું, પરંતુ સ્વજનને બચાવવા પોતાનાં સ્વપ્ન પણ તોડી નાખ્યાં.
કોરોનાના કેસો વધતાં વ્યાજખોરોને પણ મજા પડી ગઇ
કોરોનાના કેસો વધતાં વ્યાજખોરોને પણ મજા પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ખાનગી હોસ્પિટલોનાં િબલ ચૂકવવા માટે સ્વજનોએ ઊંચા દરે વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા છે અને તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. પાંચ ટકા, દસ ટકા વ્યાજ પર વ્યાજખોરોએ લોકોને રૂપિયા આપ્યા છે, જેના બદલામાં લોકોએ પોતાનાં ઘર-દુકાન ગીરવે મૂકી દીધાં છે.
મેડિક્લેમ કે પછી મા કાર્ડ જેની પાસે હોય તેમને રાહત
ગત વર્ષે લોકડાઉનના કારણે જેટલું નુકસાન લોકોને નહોતું થયું તેના કરતાં વધુ નુકસાન આ વખતે થઇ રહ્યું છે. હોસ્પિટલો પોતાના ચાિર્જસ ઓછા કરતી નથી, સરકારી હોસ્પિટલો ફુલ છે. આવી સ્થિતિમાં મેડિક્લેમ કે પછી મા કાર્ડ જેની પાસે હોય તેમને રાહત મળે છે, પરંતુ કેટલાય લોકો એવા છે, જેમની પાસે મેડિક્લેમ કે મા કાર્ડ નથી.
નવા બેડ ઉભા કરાયા
સરકારી હોસ્પિટલમાં દાખલ થવા માટે લોકો જાય છે ત્યારે ત્યાં જગ્યા નહીં હોવાના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટેની સલાહ આપવામાં આવે છે. ગઇ કાલે એસવીપી હોસ્પિટલમાં ૧૦૦૦ બેડ, મંજુશ્રી હોસ્પિટલમાં ર૦૮ બેડ, કિડની હોસ્પિટલમાં ૪૦૦ બેડ, કેન્સર હોસ્પિટલમાં ૧૭પ બેડ, નવી કેન્સર હોસ્પિટલમાં ૧૦૮ બેડ, યુએન મહેતા હોસ્પિટલમાં ૧૩૦ બેડ, એસએમએસ હોસ્પિટલમાં ર૪૦ બેડ અને જીસીએસ હોસ્પિટલમાં ૧૬૦ બેડ નવા ઊભા કરવામાં આવ્યા છે.
મૃત્યુઆંક ર૩૯૮ પર પહોંચ્યો
કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચના પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલી વાર ૯૭પથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ર૪ કલાકમાં શહેર અને જિલ્લામાં ૯૭૭ નવા કેસ અને ૪૯૦ દર્દી સાજા થયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ૮ અને જિલ્લામાં એક દર્દીનાં મોત થતાં મૃત્યુઆંક ર૩૯૮ પર પહોંચ્યો છે.
૩૩પ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બન્યા
શહેરમાં ૩૧૮ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી હતા ત્યારે ગઇ કાલે સરખેજ, જીવરાજપાર્ક, સેટેલાઈટ, ઈન્દ્રપુરી, ઘોડાસર, લાંભા, શાહીબાગ, ગોતા, થલતેજ, ચાંદલોડિયા, બોડકદેવ, નિકોલ, રામોલ, ચાંદખેડા, નવરંગપુરા, કેશવનગર સ્ટેડિયમ, રાણીપ અને નારણપુરાના ૩પ વિસ્તારોને નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા છે, જ્યારે વિવિધ વિસ્તારમાંથી ૧૮ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. હવે ૩૩પ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બન્યા છે.