વિશ્વ કોરોનાની મહામારીથી લડી રહ્યુ છે ત્યારે ભારત પણ કોરનાના કેસમાં ચોથા નંબરે પહોંચી ગયો છે. એવામાં ગુજરાતમાં અમદાવાદ કોરોનાથી સરેરાશ મોત મામલે મોખરે છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા એક સરાહનીય નિર્મય લેવાયો છે.
મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઇઝર અને PPE કીટની ખરીદી કરી શકશે
ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું
મશીનમાં ઓનલાઇન અને રોકડ વ્યવહારની પણ સુવિધા આપવામાં આવી
અમદાવાદ રેલવે સ્ટેશન પર નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને કોરોનાના કહેરથી બચવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઇઝર અને PPE કીટની ખરીદી કરી શકે એ માટે ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ઓનલાઇન અને રોકડ વ્યવહારની પણ સુવિધા આપવામાં આવી છે.
નવતર પ્રયોગ
રેલતંત્રએ જણાવ્યું હતુ કે, પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક વેન્ડિંગ લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક અને સેનિટાઇઝર મેળવી શકાશે. આ સુવિધાથી યાત્રી અને રેલ ઉપભોક્તાને લાભ મળશે. આ મશીનમાં ઇ પેમેન્ટ અને કેશ પેમેન્ટનો પણ વિકલ્પ છે અને PPE કીટ પણ ઉપલબ્ધ રહેશે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને બજાર કિંમતે મેળવી શકાશે.
ગુજરાતમાં કોરોના વાયરસ વધુ વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 513 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 38 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. 513 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39 ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7 તેમજ મહેસાણા અને આણંદમાં 5-5 કેસ નોંધાયા છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓ રજા અપાઈ છે. રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવનો આંક 22060ને પાર પહોંચી ગયો છે. તો મોતનો કુલ આંક 1470ને વટાવી ગયો છે. તો રાજ્યમાં કુલ 15109 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ 5573 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5512 દર્દીઓની હાલત સ્થિર છે.
કોરોનાના કેસમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. દેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહ્યાં છે. સ્પેન અને યુકેથી ભારત પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. ભારતમાં 2.97 લાખથી વધુ પોઝિટિવ કેસ છે. USA, બ્રાઝિલ અને રશિયા બાદ ભારત ચોથા સ્થાને છે. અત્યાર સુધી દેશમાં 1,46,074 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી 8,321 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં 24 કલાકમાં 9,846 કેસ વધ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,97,001 થઇ છે. 24 કલાકમાં 214 દર્દીના મૃત્યુ થયા છે.