આઈઆઈટી ગાંધીનગર પણ કોરોનાના ભરડામાંઃ ૨૫ વિદ્યાર્થી સંક્રમિત
૨૮ માર્ચે કરવામાં આવેલા ૧૧૬ લોકોના ટેસ્ટ
IIM-અમદાવાદ કેમ્પસમાં ૭૦ જેટલા વિદ્યાર્થી, પ્રાધ્યાપક અને કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. IIM-અમદાવાદ ઉપરાંત એક અન્ય ઉચ્ચતર શિક્ષણ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરને પણ કોરોનાએ ભરડો લીધો છે. આઈઆઈટી-ગાંધીનગરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આઈઆઈટી કેમ્પસમાં ૨૫ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.
કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૦
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોળી-ધુળેટીના તહેવારોના બે દિવસમાં જ આઈઆઈએમમાં ૧૧૬થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ૧૬ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૦ પર પહોંચી ગઈ છે, જેમાં આઈઆઈએમ-એના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
૨૮ માર્ચે કરવામાં આવેલા ૧૧૬ લોકોના ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે, ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ IIM-અમદાવાદમાં ૭૦ જેટલા લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. ૨૮ માર્ચે કરવામાં આવેલા ૧૧૬ લોકોના ટેસ્ટમાં પોઝિટિવ આવેલા ૧૦ લોકોમાંથી નવ વિદ્યાર્થીઓ છે, જ્યારે ૨૯ માર્ચે વધુ ૬ લોકો પોઝિટિવ નોંધાયા છે. બે દિવસમાં IIM-એમાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૩ લોકો પોઝિટિવ આવ્યા છે. ૨૬-૨૭ માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા.
આઠ લોકો પોઝિટિવ આવ્યા હતા
ઉત્તર-પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે, IIM-અમદાવાદમાં ગઈકાલે ૨૯ માર્ચની રાત સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૭૦એ પહોંચી ગયો છે. છેલ્લા ૧૫ દિવસમાં જ IIMમાં ૬૪ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIM-એ દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, IIM-એમાં ૨૮ માર્ચે પણ ૧૧૬ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ૨૭ માર્ચે ૧૦૯ લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી આઠ લોકો પોઝિટિવ આવ્યા હતા.
કોણ કોણ આવ્યું પોઝિટિવ
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ, કોરોનાના કેસો વધતાં ગત ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી IIM દ્વારા કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આઈઆઈએમ કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન હાથ ધરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બર્સ ઉપરાંત જેમને કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૭ માર્ચ ૨૦૨૧ દરમિયાન IIM-એમાં કુલ ૧૯૦ જેટલા કોરોના પોઝિટિવ લોકો સામે આવ્યા છે, જેમાંથી ૮૫ વિદ્યાર્થીઓ, ચાર પ્રોફેસર, ૧૪ ઓન કેમ્પસ અને ૨૭ ઓફ કેમ્પસ સ્ટાફ, ૧૯ કોન્ટ્રાક્ટ સ્ટાફ અને ૪૧ કોમ્યુનિટી અને અન્ય સ્ટાફ પણ કોરોના પોઝિટિવ થયો હતો. હાલ કુલ ૪૩ વિદ્યાર્થી ક્વોરન્ટાઈન હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી ઘાતક લહેર વચ્ચે ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ મેચ નિહાળવા ગયેલા છ વિદ્યાર્થી પૈકી પાંચ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પાંચ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે પોઝિટિવ હોવાની માહિતી છુપાવી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યાર બાદ હવે કુલ ૬૩ લોકો પોઝિટિવ આવ્યા છે.