શહેરમાં કોરોનાના કેસની તીવ્રતા સરકારી ચોપડા પર ઘટી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી ૧પ૦થી નીચે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હોવાનો તંત્રનો દાવો છે, જોકે આજની તારીખમાં શહેરમાં કોરોનાના કુલ રપ,૬૪૦ કેસ નોંધાઇ ચૂક્યા છે અને કોરોનાએ ૧પ૬૮ દર્દીનો ભોગ લીધો છે. તંત્ર દ્વારા અગાઉ મધ્ય અને દિક્ષણ ઝોનમાં કોરોના સંક્રમણના હાહાકાર વચ્ચે માસ સર્વેલન્સ, માસ ટેસ્ટિંગ ઉપરાંત કોન્ટેકટ ટ્રેસિંગ પર ભાર મુકાયો હતો
કોરોનાના એક દર્દીથી ૪૦૬ લોકોને ચેપ લાગતો હોવા છતાં તંત્ર બેદરકાર
એન્ટીજન ટેસ્ટિંગમાં પણ કેટલા ગલ્લાવાળા, શાકભાજીવાળા, ચાની કીટલીવાળા કોરોના પોઝિટિવ આવ્યા
શહેરમાં કોરોનાના કેસની તીવ્રતા સરકારી ચોપડા પર ઘટી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી ૧પ૦થી નીચે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હોવાનો તંત્રનો દાવો છે, જોકે આજની તારીખમાં શહેરમાં કોરોનાના કુલ રપ,૬૪૦ કેસ નોંધાઇ ચૂક્યા છે અને કોરોનાએ ૧પ૬૮ દર્દીનો ભોગ લીધો છે.
સમગ્ર રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ અને મૃત્યુના મામલે અમદાવાદની સ્થિતિ ગંભીર જ છે, જોકે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ વહીવટીતંત્રના વડા બદલાતાં ‘નવી ગિલ્લી નવા દાવ’ને અજમાવવા લેતાં કોરોના દર્દીના સંપર્કમાં આવતા લોકોને શોધીને તેમને કોરોના સંક્રમણ થયું છે કે કેમ? તે શોધવાની કામગીરીને હળવાશથી લઇ રહ્યા છે એટલે કોરોના દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં તંત્રની બેદરકારી વધતી જતી હોવાની બૂમ ઊઠતાં આ બાબત કોરોના સામેના તંત્રના જંગ માટે ફાયદાકારક નથી.
અત્યારે તો અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુ પણ સરકારી ચોપડે ઘટી ગયાં છે. ગત તા.૧૭ એપ્રિલ બાદ મધ્ય ઝોનના કોટ વિસ્તાર અને દિક્ષણ ઝોનના દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં કોરોનાએ લોકોમાં રીતસરની રાડ પડાવી દીધી હતી, તેમાં પણ મધ્ય ઝોનનો જમાલપુર વોર્ડ તો કોરોનાનું ‘એપી સેન્ટર’ બનતાં તંત્રને ધોળે દહાડે તારા દેખાઇ ગયા હતા.
અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બનતાં રાજ્ય તો છોડો, પરંતુ દેશભરમાં પણ ચર્ચાસ્પદ બન્યું હતું, પરંતુ તે સમયના મ્યુનિસિપલ કમિશનરે કોરાનાગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે માસ સર્વેલન્સ, માસ ટેસ્ટિંગ અને કોરોના દર્દીનું કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધર્યું હતું. મ્યુનિસિપલ સત્તાવાળાઓ કોટ વિસ્તારમાં ‘હર્ડ ઇમ્યુનિટી’ વિકસિત થવાથી કોરોનાના કેસ ઘટ્યા હોવાની ચર્ચાને સ્પષ્ટ રીતે નકારી કાઢે છે, પરંતુ કોરોના સામે આક્રમક રણનીતિ અપનાવતાં કોરોનાના કહેર પર અંકુશ લાવી શકાયો તેના પર ભાર મૂકી રહ્યા છે.
તે વખતે તંત્રએ ત્રણ ‘એસ’ને પણ ખાસ મહત્ત્વ આપ્યું હતું. સ્લમ, સિનિયર સિટીઝન અને સુપર સ્પ્રેડર્સ એમ ત્રણ એસ કેટેગરીમાં ફેલાયેલા કોરોનાને કાબૂમાં લાવવા મ્યુનિ. હેલ્થ વિભાગ પ્રયત્નશીલ હતો. પરંતુ સુપર સ્પ્રેડર્સના બીજા રાઉન્ડમાં ભજવાયેલા નાટકથી તંત્ર હાસ્યાસ્પદ બન્યું છે. હવે તો રાજકીય દબાણથી પાનના તમામ ગલ્લાને ક્યાંક રૂ.૧,૦૦૦ તો ક્યાંક રૂ.રપ૦૦નો મામૂલી દંડ લઇ ખોલી દેવાયા છે.
એન્ટીજન ટેસ્ટિંગમાં પણ કેટલા ગલ્લાવાળા, શાકભાજીવાળા, ચાની કીટલીવાળા કોરોના પોઝિટિવ આવ્યા
ભાજપ અને કોંગ્રેસનાં મોટાં માથાંને પાનના ગલ્લા કોરોનાનું સંક્રમણ ફેલાવતા નથી તેવું ક્યાંકથી ‘બ્રહ્મજ્ઞાન’ થતાં રાબેતા મુજબ પાનના ગલ્લા આગળ લોકોનાં ટોળેટોળાં જામી રહ્યાં છે. એન્ટીજન ટેસ્ટિંગમાં પણ કેટલા ગલ્લાવાળા, શાકભાજીવાળા, ચાની કીટલીવાળા કોરોના પોઝિટિવ આવ્યા તેની સત્તાવાર જાહેરાત પણ કરાતી નથી. સ્લમ વિસ્તારમાં નજીક-નજીક ઘર તેમજ આરોગ્ય બાબતે લોકોની અજ્ઞાનતાથી કોરોના વ્યાપકપણે ફેલાય છે તે મુંબઇના ધારાવીના સ્લમ એરિયાએ પુરવાર કર્યું છે તેમ છતાં મુંબઇના સ્થાનિક સત્તાવાળાઓ આક્રમક અભિગમ અપનાવીને ધારાવીમાં કોરોનાને વધુ ફેલાતો અટકાવી શક્યા છે.
હેલ્થ વિભાગે ‘સિનિયર સિટીઝન’ને રામભરોસે છોડી દીધા
અમદાવાદમાં તંત્રના ચોપડેથી સ્લમ વિસ્તારને હટાવી દેવાયો છે. શહેરની ૩પ ટકાથી વધુ વસ્તી સ્લમ વિસ્તારમાં રહેતી હોવા છતાં કોરોના સામેની નવી રણનીતિમાં સ્લમ વિસ્તારનો છેદ ઉડાડી દેવાયો છે. તે જ રીતે ‘સિનિયર સિટીઝન’ને ભુલાવી દેવાયા છે. કોરોનાનો ચેપ વયોવૃદ્ધને સહેલાઇથી લાગતો હોવાનું જગજાહેર છે. તેમ છતાં મ્યુનિ. હેલ્થ વિભાગે ‘સિનિયર સિટીઝન’ને રામભરોસે છોડી દીધા છે.
કોરોનાના એક દર્દીથી ૪૦૬ લોકોને ચેપ લગાવે
કોરોનાના એક દર્દીથી ૪૦૬ લોકોને ચેપ લાગતો હોવા છતાં તંત્રમાં દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં પણ આળસ જોવા મળે છે. કેન્દ્રીય હેલ્થ વિભાગની ટીમના આદેશથી માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની દરરોજ સમીક્ષા કરીને તેમાં કોરોનાના કેસના આધારે રોજેરોજ વધઘટ કરાઇ રહી છે. માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં સઘન ડોર ટુ ડોર સર્વેલન્સ-સ્ક્રીનિંગ અને કોરોનાના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ લેવાની કામગીરીને મહત્ત્વ અપાઇ રહ્યું છે.
હોમ ક્વોરન્ટાઇનના નિયમોના લીરેલીરા
પરંતુ એન્ટીજન ટેસ્ટિંગમાં જે તે રહેણાક વિસ્તારમાં કોરોનાના છૂટાછવાયા કેસ નોંધાય તો તેમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાતું નથી. આસપાસ રહેતા લોકોને હેલ્થ વિભાગ અનેક વાર કોરોના દર્દીથી સલામત અંતરે રહેવાની સામાન્ય સૂચના આપતું નથી અને કોરોના પોઝિટિવ દર્દી કે તેમના ઘરના લોકો હોમ ક્વોરન્ટાઇનના નિયમોના લીરેલીરા ઉડાડે તો પણ સ્થાનિક મેડિકલ ઓફિસર આંખ આડા કાન કરે છે.
કોન્ટેક્ટ ટ્રેસર તરીકે કોઈ માધ્યમ જ નહીં
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને મ્યુનિ. કોર્પોરેશનના ધન્વંતરિ રથ, ૧૦૪ સેવા, સંજીવની વાન વગેરે બાબતોની અમદાવાદ મોડલના પ્રેઝન્ટેશન દરમિયાન પ્રશંસા કરી હતી. આરોગ્ય સેતુ એપના ઉપયોગ માટે પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આની સાથે-સાથે યુકે, જર્મનીની જેમ અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ યુવા વર્ગની કોન્ટેક્ટ ટ્રેસર તરીકેની મોટી ફોજ ઊભી કરવા પર ભાર મૂક્યો હતો.
ડો.સૌમ્યા સ્વામીનાથનની સૂચના મુજબ તંત્ર મેડિકલ-પેરામેડિકલના વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે પ્રોત્સાહન આપી રહ્યું છે. અગાઉ કોરોનાના મહત્તમ કેસના ભારથી કોન્ટેક્ટ ટ્રેસિંગ ઓછું થતું હતું, પરંતુ હવે કેસ ઘટતાં એક દર્દીદીઠ ૧૦ વ્યકિતનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું હોવાનો પણ તંત્રનો દાવો છે, જોકે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ તાજેતરમાં ખાસ ભાર મુકાયો હોઇ સત્તાવાળાઓએ પોતાની આળસ ખંખેરવી પડશે.