મ્યુનિ. સત્તાવાળાઓ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગોલ્ડન ટેસ્ટ તરીકે ઓળખાતા આરટીપીસીઆરના બદલે રેપિડ એન્ટીજન ટેસ્ટને વધુ મહત્ત્વ આપીને શહેરીજનોના જીવ પર જોખમ વધારી રહ્યા છે, કેમ કે રેપિડ એન્ટીજન ટેસ્ટ કોરોના વાઇરસને ઓળખવાના મામલે ભરોસાપાત્ર નથી. અનેક કોરોના દર્દી આ ટેસ્ટમાં નેગેટિવ આવીને છટકી રહ્યા છે. આવા દર્દી પછી કોરોના સુપરસ્પ્રેડર બનીને અમદાવાદમાં કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા છે એટલે અમદાવાદમાં ગમે ત્યારે દિલ્હીની જેમ 'કોરોના બ્લાસ્ટ' થવાની પૂરેપૂરી શક્યતા છે,
એન્ટીજન ટેસ્ટના મામલે પણ ભાજપના સભ્યો તંત્ર પર રોષે ભરાયા
જે પ્રકારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવતા દર્દીઓનો મામલો છે તો તેમાં તંત્ર ભેદી રમત રમી રહ્યું છે. દરરોજના રપ,૦૦૦ જેટલા રેપિડ એન્ટીજન ટેસ્ટમાં જો માત્ર બે ટકા પોઝિટિવ કેસ આવે તો પણ રોજના પ૦૦ કેસ થાય, પરંતુ મ્યુનિ. હેલ્થ વિભાગની સરકારી યાદીમાંથી હરહંમેશ નવા કેસ તરીકે એન્ટીજનના પોઝિટિવ દર્દીનો આંકડો 'અદૃશ્ય' કરાઇ રહ્યો છે. આ બાબત પણ લોકો માટે જોખમી છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ તેની ભેદી રીતરસમ માટે જાણીતો છે. કોરોનાની મહામારીના સમયે સ્માર્ટ સિટી અમદાવાદમાં હેલ્થ વિભાગ ઇન્ચાર્જ વડાના સહારે છે. ઇન્ચાર્જ વડા તો મેલેરિયા, ડેન્ગ્યુ અને િચકનગુનિયા જેવા સામાન્ય રોગના આંકડાને છેક એપ્રિલ મહિનાથી સંતાડી રહ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ હેલ્થ વિભાગ કોરોનાના પોઝિટિવ કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ અને હોમ ક્વોરન્ટાઇનના સાચા આંકડા પ્રસિદ્ધ કરતો નથી. કમસે કમ અમદાવાદ જિલ્લાના ફોર્મેટ મુજબની માહિતી પણ નાગરિકોને અપાતી નથી. આના બદલે તંત્ર કોરોના અંગે પોતાના ટ્વિટર હેન્ડલ પર પારદર્શિતાની પોકળ વાતો કરીને નવો વિવાદ ઊભો કરે છે તેને મેયર બીજલ પટેલ લાઇક કરીને બળતામાં ઘી હોમે છે.
શાસકો પણ આંખે પાટા બાંધીને તંત્રની હામાં હા મિલાવી રહ્યા છે
પરંતુ જ્યાં સુધી પારદર્શિતાનો પ્રશ્ન છે તો હેલ્થ વિભાગના સત્તાવાળાઓ પોતે દરરોજ જાહેર થતા ૧પ૦ કેસથી ત્રણ ગણાથી વધુ કેસને લોકોથી સંતાડીને કોરોનાને વધુ વકરાવી રહ્યા છે. જો હેલ્થ વિભાગ પોતાની શાહમૃગ નીતિ છોડીને ખરેખર લોકહિતમાં વિચારે તો અત્યારે બિનધાસ્ત ફરતા લોકો પર અંકુશ આવી શકે છે, પરંતુ હેલ્થ વિભાગને તો અમદાવાદમાંથી મેલેરિયા, ડેન્ગ્યુની જેમ કોરોના પણ ગાયબ થઇ ગયો છે તેવી વિકૃતિ સંતોષવામાં રસ છે. શાસકો પણ આંખે પાટા બાંધીને તંત્રની હામાં હા મિલાવી રહ્યા છે.
જોકે ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તો હેલ્થ વિભાગથી પૂરેપૂરા નારાજ છે. ૧૦૪ તાવની હેલ્પલાઇનમાં હેમાબહેન આચાર્યએ ફોન કર્યા બાદ બે કલાક તો શું ર૪ કલાકે પણ વાન આવતી નથી તેમ રોષભેર કહીને હેલ્થ વિભાગના કાન આમળ્યા હતા. ૧૦૪ સેવા, ડોકટર એટ ડોર સ્ટેપના ભરોસે રહેતા વૃદ્ધોની કફોડી હાલત થઇ છે અને રાજ્ય સરકારની હેલ્પલાઇનમાં મ્યુનિ. તંત્રે ખોટો જશ ખાટ્યો છે, જોકે ડેપ્યુટી કમિશનર દિલીપ રાણાએ કોઇ પણ નાગરિકને ૧૦૪ની ફરિયાદ હોય તો તેમને ૯૯૭૮૪ ૦૮૭૦૬ પર ફોન કરી શકે છે તેમ કહીને મહિલા સભ્યના રોષને શાંત પાડ્યો હતો.
એન્ટીજન ટેસ્ટના મામલે પણ ભાજપના સભ્યો તંત્ર પર રોષે ભરાયા
એન્ટીજન ટેસ્ટના મામલે પણ ભાજપના સભ્યો તંત્ર પર રોષે ભરાયા હતા. અર્બન હેલ્થ સેન્ટર પર સવારના ૧૦-૦૦થી બપોરના ૩-૦૦ વાગ્યા સુધી ટેસ્ટ થાય છે. સાંજે ડોક્ટર દવા આપે છે, પરંતુ ટેસ્ટ કરતા ન હોઇ લોકોને ધક્કા ખાવા પડે છે. આમાં પણ વૃદ્ધો વધુ હેરાન થતા હોઇ સાંજે પણ ટેસ્ટ થવા જોઇએ તેવી માગણી સભ્યોએ કરી છે. આ ઉપરાંત હવે કેન્દ્રની નવી ગાઇડલાઇનથી એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવેલા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા પડશે. અત્યારે હેલ્થ વિભાગ આરટીપીસીઆરને ટાળીને એચઆરસીટી ટેસ્ટ કરાવતો હોઇ આ બાબત પણ વિવાદાસ્પદ છે.
હોમ આઇસોલેટેડ કોરોના દર્દી પણ લગભગ રામભરોસે
દરમિયાન હોમ આઇસોલેશન પર રહેતા કોરોનાના હળવાં લક્ષણ ધરાવતા દર્દીની સારવાર માટે સંજીવની વાનની ક્ષમતાને વધારવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે. અત્યારે હોમ આઇસોલેટેડ કોરોના દર્દી પણ લગભગ રામભરોસે હોઇ લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે, જોકે આગામી દિવસોમાં લોકોના રોષને જોતાં વધુ ૧૦૦ ટીમ બનાવાશે. હલ્થ વિભાગ પણ નવી રણનીતિ હેઠળ હોિસ્પટલના બદલે આઇસોલેશન પર ખાસ મહત્ત્વ આપી રહ્યો હોઇ આ બધા કારણસર અમદાવાદમાં કોરોના વધુ ખતરનાક બની રહ્યો છે તે પણ હકીકત છે.