અમદાવાદ મ્યુ. સત્તાવાળાઓ અમદાવાદમાં ભલે કોરોનાની ગાઇડલાઇન પળાવવા લોકોને દંડે, પરંતુ મુખ્યાલયમાં 'દીવા તળે અંધારું' જેવી ઉદ્ભવેલી સ્થિતિ સામે પણ ગંભીર બને તો સારૂ
ચૂંટણી દરમિયાન આંખે પાટા બાંધ્યા હતા
કમિશનર ઓફિસ પણ રિવરફ્રન્ટ ખસેડાઈ હતી
કોરોનાની ફર્સ્ટ વેવમાં જ મુખ્યાલયમાં કોરોનાએ અજગરી ભરડો
ચૂંટાયેલી પાંખની ઓફિસોમાં સન્નાટો ફેલાયો છે, પરંતુ આવતી કાલે ટાગોર હોલમાં મળનારી સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયરની વરણી થશે એટલે પુનઃ ચૂંટાયેલી પાંખની ઓફિસો ધમધમશે. તંત્ર દ્વારા આ ઓફિસોની સજાવટ પણ કરાઈ છે.
શહેરના નવા શાસકોના કારણે સ્વાભાવિક રીતે મુલાકાતીઓની ભીડ જામશે. આજની સ્થિતિએ તો મુખ્યાલયમાં કોઈનું થર્મલ ગનથી ચેકિંગ થતું નથી કે સેનિટાઇઝેશનની વ્યવસ્થા નથી. બીજા માળે હેલ્થ વિભાગના વડા અને પાંચમા માળે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા બેસતા હોવા છતાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. મ્યુનિ. કર્મચારીઓ માસ્ક પહેરવાનું પણ ટાળી રહ્યા છે.
નવા શાસકોની ઓફિસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન
કોરોનાને ફેલાતો અટકાવવા માટે જાહેર સ્થળે માસ્ક અનિવાર્ય છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જરૂરી છે. કોરોનાની આ ગાઇડલાઇન મ્યુનિ. મુખ્યાલય કે તેના પરિસરમાં ફરજિયાત પળાય તે જોવાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પૂરેપૂરી જવાબદારી હોવા છતાં આ વિભાગ આંખ આડા કાન જ કરે છે. લોકોને દંડનાર તંત્રે મુખ્યાલય કે તેના પરિસરમાં કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડનારને હજુ સુધી દંડ્યા નથી. નવા શાસકોની ઓફિસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ચૂંટણી દરમિયાન આંખે પાટા બાંધ્યા હતા
આવતી કાલથી નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેને વધાવવા તેમના પ્રશંસકો મોટી સંખ્યામાં ઊમટી પડશે અને તેનાથી જે ભીડ થશે તે ભીડને મ્યુનિ. સત્તાવાળાઓ અટકાવશે કે પછી ચૂંટણી દરમિયાન આંખે પાટા બાંધ્યા હતા તેવી રીતે પુનઃ ખુલ્લી આંખે ભીડનો તમાશો જોતા રહેશે તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.
કમિશનર ઓફિસ પણ રિવરફ્રન્ટ ખસેડાઈ હતી
અમદાવાદમાં અન્યત્ર કોરોનાના બે કે ત્રણ કેસ નોંધાય તો લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા હેઠળ નજરકેદમાં મૂકનાર તંત્રે મુખ્યાલયમાં કોરોનાકાળ દરમિયાન એક જ દિવસે દસથી વધુ કેસ નોંધાયા હતા તેમ છતાં ક્યાંય માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં મૂક્યો નહોતો, જોકે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાનો વિવાદ વધવાથી ઓડિટ, પ્લાનિંગ વગેરે ઓફિસને અન્યત્ર શિફ્ટ કરાઈ હતી. છેલ્લી ટર્મના શાસકોએ પણ કોરોનાની બીકથી અનલોક જાહેર કરાયા બાદ પણ લાંબા સમય સુધી ઉસ્માનપુરાની ઝોનલ ઓફિસમાં ધામા નાખ્યા હતા. કમિશનર ઓફિસ પણ રિવરફ્રન્ટ ખસેડાઈ હતી.
કોરોનાની ફર્સ્ટ વેવમાં જ મુખ્યાલયમાં કોરોનાએ અજગરી ભરડો
કોરોનાની ફર્સ્ટ વેવમાં જ મુખ્યાલયમાં કોરોનાએ અજગરી ભરડો લેતાં હેરિટેજ વિભાગના ઉચ્ચ અધિકારી નાયર સહિતના ત્રણથી ચાર કર્મચારી મૃત્યુ પામ્યા હતા તો ૧૦૦થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આટઆટલા કડવા અનુભવો બાદ પણ સત્તાવાળાઓ કોરોનાએ વિદાય લીધી છે તેમ માનીને છેલ્લા ત્રણ મહિનાથી કોરોના ગાઇડલાઇનના મામલે પૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે.
'દીવા તળે અંધારું'
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડાની ઓફિસની બારીમાંથી મુખ્યાલય પરિસરમાં ફેલાયેલી અરાજકતા જોવા મળે છે. હવે જ્યારે કોરોનાની થર્ડ વેવની દહેશત ઊભી થઈ છે તેવા સંજોગોમાં તંત્ર મુખ્યાલયને ફરી કોરોનાનું એપી સેન્ટર બનતું રોકી શકશે? નવા શાસકો પણ શુભેચ્છકોની ભીડ પર નિયંત્રણ રાખી શકશે? કે પછી કોરોનાના કેસ સતત વધતા જોઈ નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરી ઉસ્માનપુરાની ઝોનલ ઓફિસમાં પૂર્વવત્ ગોઠવાઈ જશે? આમાં પાયાનો પ્રશ્ન એટલો જ છે કે મ્યુનિ. સત્તાવાળાઓ અમદાવાદમાં ભલે કોરોનાની ગાઇડલાઇન પળાવવા લોકોને દંડે, પરંતુ મુખ્યાલયમાં 'દીવા તળે અંધારું' જેવી ઉદ્ભવેલી સ્થિતિ સામે પણ ગંભીર બને, નહીંતર એકાદ મહિનામાં આ જગ્યાએ પણ કોરોનાનો પહેલાંની જેમ આતંક ફેલાશે.