કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિરમાં કોઈ ટેસ્ટિંગ વ્યવસ્થા નથી
શહેરમાં ગઈ કાલે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું. ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોનાના નવા ૧૩૫૪ કેસ નોંધાઈ ચૂક્યા છે એટલે કોરોના ખતરનાક બનતો જાય છે. અનેક લોકો માસ્ક વગર ફરે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં ભારે બેદરકારી દાખવી રહ્યા હોઈ આગામી દિવસોમાં કોરોના વધુ વકરી શકે છે. બીજી તરફ શહેરમાં પ્રવેશતા રોડને ખુલ્લા મૂકી દેવાયા હોઈ મ્યુનિ. તંત્ર દ્વારા જાણે કે બહારથી કોરોનાને અમદાવાદમાં આવવાનું ખુલ્લું આમંત્રણ અપાયું હોય તેમ લાગે છે, જોકે તંત્રની આ પ્રકારની ઢીલી નીતિ અમદાવાદીઓના જીવને વધુ જોખમમાં મૂકશે તેમાં કોઈ વિવાદને સ્થાન નથી.
પરિસરમાં ડોમ ઊભો કરવાની તસદી લેવાઈ નથી
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોરોનાને લગતી કોઈ ગાઇડલાઇન પળાઈ નથી. નેતાઓ અને કાર્યકરો ચૂંટણીના તાલમાં ભાન ભૂલ્યા હતા એટલે તબીબીઆલમમાં પણ કોરોનાની થર્ડ વેવની દહેશત ફેલાઈ હતી. ગઈ કાલે તો કોરોનાના નવા કેસમાં ચૂંટણી બાદનો નવો ઉચ્ચ આંક નોંધાતાં તંત્રમાં પણ ફફડાટ જોવા મળ્યો છે, જોકે સત્તાવાળાઓએ કોરોનાને અંકુશમાં લાવવા કોઈ જ સક્રિયતા દાખવી નથી. હજુ પણ રોડ પરના ડોમની સંખ્યા ૨૬ જ છે. ડોમ પર નાગરિકોની ભીડ જોવા મળી છે તેમ છતાં હેલ્થ વિભાગે તેની સંખ્યા વધારી નથી. મ્યુનિ. મુખ્યાલયમાં બુધવારથી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે બેસતા થઈ જશે એટલે સ્વાભાવિકપણે મુલાકાતીઓથી મુખ્યાલય ગાજી ઊઠશે તેમ છતાં પરિસરમાં ડોમ ઊભો કરવાની તસદી લેવાઈ નથી.
મહારાષ્ટ્ર સરકારે ગુજરાતથી આવનારા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો
ખાસ તો મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનમાં પ્રવેશતાં અગાઉ ૭૨ કલાક પહેલાંનો આરટીપીસીઆર ટેસ્ટ ત્યાંની સરકારે ફરજિયાત કર્યો છે. ગુજરાતથી રાજસ્થાન જનારા લોકો પૈકી કોરોના ટેસ્ટનો રિપોર્ટ રજૂ ન કરનારાઓને ગુજરાત પરત મોકલી દેવાય છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાતથી આવનારા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો હતો.
કોરોનાની થર્ડ વેવની સંભાવના વચ્ચે તંત્ર તકેદારીનાં પગલાં લેવાનું ટાળી રહ્યું છે
બીજી તરફ અમદાવાદમાં કોરોનાની થર્ડ વેવ ફેલાવાના ખોફની વચ્ચે મુંબઈ-મહારાષ્ટ્રથી અમદાવાદમાં પ્રવેશતા એક્સપ્રેસ-વેને ખુલ્લો મૂકી દેવાયો છે. આવા મહત્ત્વપૂર્ણ રોડ પર મ્યુનિ. હેલ્થ વિભાગે સાદા એન્ટીજન રેપિડ ટેસ્ટની વ્યવસ્થા ગોઠવી નથી. આ જ રીતે સનાથલ ચોકડી, અસલાલી અને રિંગરોડથી શહેરમાં પ્રવેશતા રોડની હાલત છે. આ તમામ રોડ પરથી પરરાજ્યના લોકો બેરોકટોક અમદાવાદમાં પ્રવેશી રહ્યા છે. પહેલાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા શહરની હદમાં પ્રવેશતાં અગાઉ બહારગામથી આવતી એસટી બસના પેસેન્જરના પણ રેપિડ ટેસ્ટ કરાવાતા હતા. ગીતામંદિર સહિત મહત્ત્વનાં બસસ્ટેશન ખાતે પણ કોરોનાના ટેસ્ટ થતા હતા, પરંતુ કોરોનાની થર્ડ વેવની સંભાવના વચ્ચે તંત્ર તકેદારીનાં પગલાં લેવાનું ટાળી રહ્યું છે.
હેલ્થ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હજુ સુસ્તી દાખવી રહ્યો છે
કાલુપુર રેલવે સ્ટેશન ખાતે હવે ટ્રેનની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. દરરોજના હજારો પેસેન્જર અમદાવાદમાં પ્રવેશી રહ્યા છે, જોકે આ પેસેન્જરો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ તો માગવામાં આવતો નથી, પરંતુ એન્ટીજન રેપિડ ટેસ્ટની સુવિધા પણ ઊભી કરાઈ નથી. અગાઉ રેલવે સ્ટેશન પર ડોમ ઊભો કરીને બહારગામથી આવતી ટ્રેનના પેસેન્જરોના ફરજિયાત એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાતા હતા, જે લાંબા સમયથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા બંધ કરી દેવાયા છે એટલે અમદાવાદમાં ફરી કોરોનાની આફત ઊભી થઈ છે તેવા સમયે કોરોના સામેની લડતમાં નવેસરથી જોમ-જુસ્સો દાખવવાના બદલે હેલ્થ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હજુ સુસ્તી દાખવી રહ્યો છે.