અમદાવાદમાં એક તરફ કોરોનાનો કહેર વધવાથી લોકો ભયભીત બન્યા છે. એસવીપી જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીને પ્રવેશ મેળવવાના તો ફાંફાં પડ્યાં છે, પરંતુ સારી ગણાતી ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતી સંખ્યામાં બેડ કે વેન્ટિલેટરની વ્યવસ્થા નથી. ઉપરાંત તંત્ર પણ વધુ ને વધુ દર્દીને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ આપે છે, જેના કારણે ઘરે રહીને કોરોનાની સારવાર લેતા દર્દી વધ્યા છે, પરંતુ આ દર્દીની નિયમિત સારસંભાળ લેવાની બાબત કહો કે પછી તેમના મેડિકલ વેસ્ટને ઉપાડવાની બાબતમાં તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.
શહેરમાં કુલ ૨૫૬ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા
૨૪,૦૦૦ લોકો તેમના ઘરમાં કેદ થયા
દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી
આમ તો કોરોનાના કેસ વધતાં તંત્રે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરવાની નવી રણનીતિ અપનાવી છે. આજની સ્થિતિમાં શહેરમાં કુલ ૨૫૬ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છે. આના કારણે ૨૪,૦૦૦ લોકો તેમના ઘરમાં કેદ થયા છે.
દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી
બીજી તરફ હોમ આઇસોલેશન હેઠળના દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું છે. તેમાં પણ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બેદરકારીથી જે તે દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી. અગાઉની કોરોના ફર્સ્ટ વેવમાં પણ હોમ આઇસોલેટેડ દર્દી પ્રત્યે તંત્ર લાપરવાહી દાખવતું હોવાની તંત્ર સામે ગંભીર ફરિયાદ ઊઠી હતી.
હોમ આઇસોલેટ દર્દી રામભરોસે
હવેની સેકન્ડ વેવમાં પણ હોમ આઇસોલેટેડ દર્દીની હાલાકીનો અંત આવ્યો નથી. કોરોનાના દર્દીને રસ્તા પર શોધવાની કવાયત કરનાર મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આટલા દિવસમાં આટલા પોઝિટિવ દર્દીને કોરોના ટેસ્ટિંગમાં પકડ્યા તેને લગતી પ્રેસ નોટને પ્રસિદ્ધ કરીને પોરસાય છે, પરંતુ હોમ આઇસોલેટ દર્દીના ઘરનો કચરો નિયમિત રીતે ઉપાડવામાં તંત્ર આળસુ પુરવાર થયું છે.
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોએ આ મુદ્દે તંત્ર પર પસ્તાળ પાડી હતી. એક તરફ કોરોનાના કેસ વધવાથી આઇસોલેટેડ દર્દીની સંખ્યા વધી છે, બીજી તરફ આ દર્દીના ઘરનો કચરો અલગથી ઉપાડાતો નથી, દર્દીના ઘરનો કચરો ફ્લેટ-સોસાયટી કે પોળના કચરાની સાથે ઠલવાતો હોઈ આનાથી કોરોનાનું સંક્રમણ વધુ નહીં ફેલાય તેવો અણિયાળો પ્રશ્ન સભ્યોએ કરતાં મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોલતી જ બંધ થઈ ગઈ હતી.
કમિશનરને કચરાની ગાડીની સંખ્યા અને સ્ટાફ વધારવાની આપવાની ફરજ પડી
જોકે સભ્યોના આક્ષેપ જોયા બાદ સંબંધિત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને કચરાની ગાડીની સંખ્યા અને સ્ટાફ વધારવાની આપવાની ફરજ પડી હતી. જોકે કેટલાક બોલકા સભ્યોએ તંત્ર ચાર દિવસ ગાડી દોડાવશે, પરંતુ પછી સ્થિતિ ઠેરની ઠેર થશે તેવી દહેશત વ્યક્ત કરીને આ વ્યવસ્થાનું યોગ્ય મોનિટરિંગ થવું જોઈએ તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી હતી.