પાકિસ્તાનમાં જીવલેણ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ અત્યાર સુધીમાં 1,571 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી હતી, જેમાંથી 200થી વધુ લોકોને કોરોનાનો ચેપ હોવાનું સામે આવ્યું છે. વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના લોકોને હિંમત રાખી કોરોના સામે લડવા જણાવ્યું ત્યારે લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.
પાકિસ્તાનની હાલત ખરાબ, મોટા ભાગની હોસ્પિટલોમાં સેનિટાઈઝેશનની વ્યવસ્થા પણ નથી
ઈમરાન ખાને કહ્યું, પાકિસ્તાનની હાલત અમેરિકા કે યુરોપ જેટલી ખરાબ નથી
ઈમરાન ખાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ ગભરાવાની કોઇ જરૂર નથી. પાકિસ્તાનની હાલત અમેરિકા કે યુરોપ જેટલી ખરાબ નથી. આપણી 25 ટકા વસ્તી સાવ ગરીબીમાં જીવી રહી છે. તેથી લોક ડાઉન કરવું શક્ય નથી.
લોકોએ સોશિયલ મીડિયા પર ઇમરાનને ટ્રોલ કરતાં લખ્યું છે કે તમે જ્યારે પણ ભાષણ આપો ત્યારે ગભરાશો નહીં તેવું કહો છો, પણ બાદમાં અમારે ડરવાનું જ આવે છે. અમને ખોટા દિલાસા આપવાના બંધ કરો અને નક્કર કામગીરી કરો.
જિયો ન્યૂઝના દાવા અનુસાર પાકિસ્તાનમાં આજે સવાર સુધીમાં કોરોના વાઈરસના ચેપના કુલ 237 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. પાકિસ્તાનમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ચેપના શંકાસ્પદ દર્દીઓને ક્વારિન્ટાઈન કે આઈસોલેટ કરવા માટે કોઈ વ્યવસ્થા જ નથી. સિંધની કેટલીક સ્કૂલમાં શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા છે. અહીં એક જ હોલમાં 58 શંકાસ્પદ દર્દીઓને એકસાથે રાખવામાં આવ્યા છે. મોટા ભાગની હોસ્પિટલમાં પણ સેનિટાઈઝેશનની કોઈ વ્યવસ્થા નથી.