કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીત બાદ ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ને પોતાનું સાંકેતિક પ્રદર્શન પાછુ લઈ લીધુ છે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં IMAએ આજે રાતે 9 વાગે સાંકેતિક પ્રદર્શન અને કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન અમિત શાહે ડૉક્ટરોને સુરક્ષાનો ભરોસો આપ્યો છે.
અમિત શાહે ડૉક્ટરોને આપ્યો સુરક્ષાનો ભરોસોટ
IMAએ કહ્યું કે અમને સરકારની વાત પર ભરોસો છે
અનેક વાર ડૉક્ટર અને મેડિકલ ટીમ પર હુમલા થયા છે
અમિત શાહે કહ્યું કે ‘આપણા ડૉક્ટરની પોતાના કાર્યસ્થળ પર સુરક્ષા અને પ્રતિષ્ઠા સાથે કોઈ બાંધછોડ ચલાવી નહીં લેવાય. તેમના માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું એ આપણી સામુહિક જવાબદારી છે. મે ડૉક્ટરોને આશ્વાસન આપ્યુ છે કે મોદી સરકાર તેમની રક્ષા કરવા કટિબદ્ધ છે અને તેમને વિરોધ પ્રદર્શન પર ફરી વિચાર કરવા અપીલ કરે છે.’
સાંકેતિક પ્રદર્શનને પાછું ખેંચતા IMAએ કહ્યું કે આજે અમારી ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. ખાસ કરીને અમિત શાહ સમગ્ર મામલાને સમજી રહ્યા છે અને ચિંતાતુર પણ છે. ભારત સરકાર ડૉક્ટરોની સુરક્ષા માટે જરુરી પગલા ભરશે એવો વાયદો કર્યો છે અને અમને સરકાર પર ભરોસો છે. એટલા માટે પ્રદર્શન પાછુ લઈ રહ્યા છીએ.
ફરજ બજાવી રહેલા કેટલાક ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાની વિરુદ્ધમાં IMAએ વિરોધ પ્રદર્શની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યોમાં ડૉક્ટરો પર હુમલો કર્યાની, છેડતી કે મારપીટ કર્યાની ઘટનાઓ બની છે. જેનાથી ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ દુઃખી છે .