છાશવારે સ્માર્ટ સિટીના એક અથવા બીજા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યાનાં બણગાં ફૂંકનાર મ્યુનિસિપલ સત્તાવાળાઓની ‘કોરોના સાંત્વના’ની હેલ્પલાઇન ૧૧૦૦માં અણઆવડત પુરવાર થઇ છે. લગભગ એક અઠવાડિયા પહેલાં તંત્રે કોરોના મહામારીના સમયમાં અમદાવાદીઓને સાંત્વના આપવા સમગ્ર દેશમાં આ પ્રકારની સેવા આપતી અજોડ અને સર્વપ્રથમ હેલ્પલાઇન ચાલુ કરાઈ હોવાનો દાવો કરાયો હતો, પરંતુ આમાં નક્કર વાસ્તવિકતા એ છે કે હેલ્પલાઇન નંબર ૧૧૦૦ને રાજ્ય સરકારના ટેલિમેડિસિન હેલ્પલાઇનના એક ભાગ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. બીજા અર્થમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓને હવે કોરોના સાંત્વના હેલ્પલાઇનના મામલે સાંત્વના આપવાની જરૂર પડી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં કટાક્ષમાં ચર્ચાઇ રહ્યું છે.
શહેરમાં કોરોનાને વધુ ફેલાતો અટકાવવા માટે ધન્વંતરી રથ, ૧૦૪ ઘરઆંગણે ડોકટરની કોરોના ઘર સેવા, સંજીવની વાન જેવાં અનેક પગલાં લેવાયાં હોઇ કેન્દ્ર દ્વારા અન્ય રાજ્યોમાં પણ આવાં પગલાં લેવાની ભલામણ કરાઇ હોવાનો દાવો તંત્ર કરી ચૂકયું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ગત તા.૧પ જુલાઇએ કોરોનાથી ફફડાટ અનુભવીને સર્જાયેલી માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં લોકોને મદદ મળે તે માટે કોરોના સાંત્વના નામની ૧૧૦૦ નંબરની નવી હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી.
આ જાહેરાત મુજબ આ નવી હેલ્પલાઇનમાં બે ખાસ ટીમ સવારે ૯-૦૦થી રાતના ૯-૦૦ સુુધી ઉપલબ્ધ રહી અમદાવાદીઓને કોરોનાને લગતી માનસિક તકલીફો કે સમસ્યાઓ અંગે ચર્ચા કરી નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડશે. દરેક ટીમમાં ત્રણ નિષ્ણાત, તાલીમબદ્ધ અને અનુભવી મનોચિકિત્સક ઉપલબ્ધ રહેશે. જેમાં કોરોનાની અસરો અંગેની ચિંતા, નકારાત્મક વિચારો, કુટુંબીજન કે નજીકની વ્યકિતનાં કોરોનાનાં સંક્રમણ કે મૃત્યુ થકી ઊભો થયેલો માનસિક આઘાત, ઉદાસીનતા, સલામતીની ચિંતા જેવી વિવિધ માનસિક તકલીફો વિશે ચર્ચા કરીને જરૂરી સારવાર કરશે.
મહિલાઓની સમસ્યા સાંભળીને તેનાં નિરાકરણ માટે પ્રત્યેક ટીમમાં એક મહિલા તબીબી ચિકિત્સક પણ હાજર રહેશે. વધુ ગંભીર કિસ્સામાં નિષ્ણાત અભિપ્રાય માટે આ બંને ટીમને સહયોગ કરવા એસવીપી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના નિષ્ણાત ડોકટરની એક ટીમ રાખવી તેમજ એક સાથે ઘણા બધા કોલ સાંભળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરાયું હતું. ત્યાર બાદ તંત્રે ‘શું આપ કે આપના પ્રિયજન કોરોના મહામારીને કારણે માનસિક તણાવ કે તકલીફ અનુભવી રહ્યા છો? તો કોરોના સાંત્વના હેલ્પલાઇન નંબર ૧૧૦૦ ડાયલ કરો’ તેવી જાહેરાતથી બહોળા પ્રમાણમાં પ્રચાર પણ કર્યો હતો.
જોકે આટલા દિવસ થયા પરંતુ તંત્રની આ નવી હેલ્પલાઇન રાજ્ય સરકારના ટેલિમેડિસિન વિભાગનાે એક પેટા વિભાગ જ બનીને રહી ગઇ છે. તંત્રની પ્રાથમિક સુખાકારીને લગતી ફરિયાદની હેલ્પલાઇન નંબર ૧પપ૩૦૩ની જેમ આ ૧૧૦૦ નંબરની સ્વતંત્ર હેલ્પલાઇન નથી. ૧૧૦૦ પર ફોન કરવાથી ત્યાંથી મ્યુનિ. તંત્રના મનોચિકિત્સકને લાઇન ટ્રાન્સફર કરાય છે. આ મનોચિકિત્સક પોતાનું નામ તો આપતા નથી, પરંતુ ફોન કરનારને ચિત્ર-વિચિત્ર પ્રશ્ન કરીને ગૂંચવી નાખે છે.
અત્યારે અનેક અમદાવાદીઓ મને તો કોરોના નહીં થાયને? તેવી ચિંતા, પોતે તથા કુટુંબીજનોને ઘરની બહાર જવા નહીં દેવાના કારણે નોકરી, ધંધામાં અનુભવાતી આર્થિક મુશ્કેલી, બાળકો-યુવાનો પણ શાળા, કોલેજ, ઉદ્યાન, રમતના મેદાન સહિતના ઘર બહારની પ્રવૃત્તિ બંધ થવાથી અનેક પ્રકારની મૂંઝવણમાં છે.
આ સંજોગોમાં તંત્રનો ઉદ્દેશ્ય સારો હોવા છતાં હજુ સુધી ૧૧૦૦ કોરોના સાંત્વના હેલ્પલાઇનમાં અસરકારતા જોવા મળી નથી. રાજ્ય સરકારના ટેલિમેડિસિન વિભાગ હેઠળ ૧૦૪ નંબરને પણ સમાવી લેવાયાે છે. આમ અત્યારે તો તંત્રની કોરોના સાંત્વના ટીમ માત્ર 'કાગળ પરનો વાઘ' પુરવાર થઇ રહી હોઇ આ મામલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ સિફતપૂર્વક મૌન પાળી રહ્યા છે.