ગુજરાતમાં સરકાર દ્વારા ગઇકાલથી રાશન વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આજરોજ રાશન વિતરણનો બીજો દિવસ છે. જો કે રાજ્યમાં પહેલા દિવસે રાશન વિતરણ વ્યવસ્થામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતાં. જ્યારે વિતરણ કરાયેલા રાશનને લઇને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે નવસારીમાં ચણાની દાળ એક્સપાયરી ડેટવાળી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર નવસારી ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી એક્સપાયરી તારીખવાળી દાળ આપવામાં આવી હતી. નવસારીના વિરાવળ ગામે આ મામલો સામે આવ્યો છે.
કોરોના વાયરસના કારણે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આવા કપરા સમયમાં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને આપવામાં આવેલી દાળનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હતો.
જેને લઇને નવસારીના વિરાવળ ગામના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી આ સમગ્ર દાળનો જથ્થો પરત લેવામાં આવ્યો હતો અને હવે તેમને ફરી નવી દાળ આપવામાં આવશે.
આ અંગેની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જવાબદાર સામે પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.