કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જેને લઇને ગુજરાત સરકાર પણ અલર્ટ થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આ બેઠકમાં થયેલ નિર્ણયો અંગે જાહેરાત કરી હતી.
ગુજરાતમાં તમામ શાળા-કોલેજો 2 અઠવાડીયા બંધ રહેશે
શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બંધ રખાશે
મોલ અને સિનેમાઘરો પણ બંધ રાખવા આદેશ: મુકીમ
આરોગ્ય વિભાગના અગ્ર અધિક સચીવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા (16 માર્ચથી 29 માર્ચ સુધી) માટે બંધ રહેશે. હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.
જાહેરમાં થૂકવા પર 500 રૂપિયાનો દંડ
રાજ્યમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધીના યોજવા પણ અનુરોધ કર્યો છે.
હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરો
જયંતિ રવિએ જણાવ્યું કે, હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરો. સ્વચ્છ સાબુ અને પાણીથી હાથ ધોવાનું રાખવુ. નિયમિત યોગ કરો, પાણી પુષ્કળ પીવો. વયસ્ક વ્યક્તિઓને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. બિનજરૂરી ઘરની બહાર વયસ્કો ન નિકળે તેવી અપીલ કરી છે. ભીડવાળી જગ્યાએ જરૂર વગર ન જવુ. છીંક અને ઉધરસ વખતે મોઢુ ઢાંકવુ. શરદી હોય તેવા વ્યક્તિથી સુરક્ષિત અંતર રાખવુ. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો મૌકૂફ રાખવા અપીલ કરી છે.
વધુમાં તેમણે ખાનગી અને ધાર્મિક સંસ્થાઓને કાર્યક્રમ બંધ રાખવા અપીલ કરી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ છે. ટીચર અને ઓફિસ સ્ટાફ સ્કૂલમાં આવી શકે છે.