ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને કોરોનાના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ મળી રહી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વધુ 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, આ તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યાં રાહતના સમાચાર
કોરોનાના 10 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14 દર્દીઓને અપાઇ રજા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વધુ 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે. પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં કુલ 14 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી રજા આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરના ગઠામણ ગામમાં 21, ભાગળમાં 2, મજાદરમાં 1, વાવમાં 6 અને થરાદમાં એક કેસ નોંધાયો છે. આ તમામ દર્દીઓને પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અગાઉ પાલનપુર કોવિડ-19 હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી. જેમાં એક 4 વર્ષીય બાળકી અને બીજો 14 વર્ષનો છોકરો હોવાથી હોસ્પિટલના ડૉકટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ગિફ્ટ અને ચોકલેટ આપી તાળીઓના ગડગડાટ સાથે માનભેર વિદાય આપવામાં આવી હતી.