ગુજરાતમાં કોરોના વાયરસને લઇને પરિસ્થિતિ વણસતી જોવા મળી રહી છે. દેશમાં હાલ કોરોનાના આંકડા વિશ્વભરમાં સૌથી વધારે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અમદાવાદ શહેરમાં તહેવારોમાં કોરોના વાયરસનો ફેલાવાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરમાં કેસ વધતા વધુ 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં તહેવારોમાં કોરોના ફેલાવાનો ભય
કેસ વધતા વધુ 4 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા
પૂર્વ વિસ્તારના દક્ષિણ ઝોનમાં વધ્યા કોરોનાના કેસ
અમદાવાદમાં એક તરફ કોરોનાનું સંકટ વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે ઓગસ્ટ મહિનામાં તહેવારો આવતા હવે કોરોના વધુ ફેલાય તેવો ભય ફેલાયો છે. અમદાવાદ શહેરમાં વધુ 4 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં હજુ પણ 3 હજાર 21 કેસ એક્ટિવ છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના દક્ષિણ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 526 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 521 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 456 એક્ટિવ કેસ છે. ત્યાર બાદ દક્ષિણ ઝોનમાં 434, પૂર્વ ઝોનમાં 412, ઉત્તર ઝોનમાં 379 અને મધ્ય ઝોનમાં 293 એક્ટિવ કેસ છે.
ગઇકાલે ગુજરાતમાં એક જ દિવસમાં 1009 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 974 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા હતા. રાજ્યમાં 83 દર્દીઓ વેન્ટિલટર પર છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં 22 દર્દીઓનાં મૃત્યું થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 64,684 છે, જ્યારે કુલ 14,614 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 2,509 દર્દીઓના મૃત્યું થયા છે, જ્યારે કુલ 47,561 દર્દીઓ સાજા થયા છે.