રાજ્ય સરકાર દ્વારા આજથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે અનાજ વિતરણમાં રાજ્યમાં અનેક જગ્યાએ હોબાળો જોવા મળ્યો છે. લોકોએ એક બાજુ આપવામાં આવી રહેલા અનાજને લઇને સવાલ ઉઠાવ્યાં તો બીજી તરફ કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો. આમ ચોક્કસ કહી શકાય કે અનાજ વિતરણમાં ચારેબાજુ કોઇ વ્યવસ્થા જોવા મળતી નહોતીં. જો કે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી અનાજનું વિતરણ વ્યવસ્થિત થઇ રહ્યું હોવાનો દાવો કર્યો છે.
રાજ્યમાં અનાજ વિતરણ મામલે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન
રાશન કાર્ડ ન હોય તેમને અન્ન બ્રહ્મ યોજના હેઠળ લાભ મળશે
રાજ્યની સવા ત્રણ કરોડ જનતાને અનાજ મળશે
રાજ્યાના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્યની સવા ત્રણ કરોડ જનતાને અનાજ મળશે. હાલમાં અનાજનું વિતરણ સુચારુ રીતે શરૂ કરાયું છે. જેમાં બે કલાકમાં ત્રણ લાખ લોકોએ લાભ મેળવ્યો. આ સાથે જયેશ રાદડિયાએ કહ્યું કે અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે અને રાજ્યના 65 લાખ 40 હજાર પરિવારને વિના મૂલ્યે તેનો લાભ મળશે.
મંત્રી જયેશ રાદડિયાએ સરકારના ગરીબલક્ષી નિર્ણયને લઇને કહ્યું કે આ અનાજ વિતરણનો રાજ્યની સવા ત્રણ કરોડ જનતાને અનાજ મળશે.
અનાજ વિતરણ મામલે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાશનકાર્ડ ન હોય તેમને અન્ન બ્રહ્મ યોજના હેઠળ લાભ મળશે. આ સાથે માલનો સંગ્રહ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. અનાજ વિતરણમાં ફિંગરપ્રિન્ટના આધારે આ મહિનાનું રાશન આપવામાં નહીં આવે. હાલમાં ઓફલાઇન રાશન આપવામાં આવશે. અંત્યોદય, BPL, APL ના કાર્ડ ધારકોને જ લાભ મળશે.
જયેશ રાદડિયાએ કહ્યું કોને શું મળશે?
મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે PPH કાર્ડ ધારકોને ઘઉં 3.5 કિલો, ચોખા 1.5 કિલો અને ચણાદાળ 1 કિલો મળશે. જ્યારે APL અને NFSA કાર્ડ ધારકોને 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણાદાળ, 1 કિલો મીઠું આપવામાં આવશે.