કોરોના વાઈરસ અને લોકડાઉનની મદ્દતમાં કરાતા વધારાથી પરપ્રાંતિય લોકો અને ગરીબોની હાલત અત્યંત દુઃખદ બની ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી માત્ર એક ટંક જમતા લોકો અત્યારે ભૂખથી બચવા પોતાના વતન જવા માંગે છે પણ હવે તેમની પાસે ભાડું ક્યાંથી લાવવું મોટો પ્રશ્ન ઊભો થયો છે. ભાજપ શાસિત કેદ્ર અને રાજ્ય સરકારો કહે છે કે, શ્રમિકો પાસેથી ભાડુ વસૂલવામાં આવતું નથી.
ભાડા પર ઉઠ્યા સવાલ
સરકાર નથી લેતી ભાડું?
શ્રમિકો પાસેથી કોણ વસૂલે છે પૈસા
85 ટકા રકમ કેદ્ર સરકાર ભોગવે છે અને 15 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવે છે. પરંતુ આ દાવાની પોલ ખોલી નાખતો એક પત્ર કોંગ્રેસ જાહેર કર્યો છે, આ પરિપત્ર જંબુસરની ઇન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝ્યુકેટિવ મેજીસ્ટ્રેટ કચેરી તરફથી તાલુકા વિકાસ અધિકારી તેમજ ચીફ ઓફિસરને લખવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે યુપી અને બિહાર જતા શ્રમિકો પાસેથી ભાડુ વસુલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જેટલા શ્રમિકો ભાડું આપશે તેટલા જ શ્રમિકોને તેમના વતન લઇ જવામાં આવશે તેવો પત્ર
જેમાં ઉત્તરપ્રદેશ માટે છસો પંચાશી રૂપિયા અને બિહાર જવા માટે સાત સો સાંઈઠ રૂપિયા વસૂલી 12 કલાક સુધીમાં જંબુસર સ્થિત એક્ઝ્યુકેટિવની કચેરીમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.એટલું જ નહિં પત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેટલા શ્રમિકો ભાડું આપશે તેટલા જ શ્રમિકોને તેમના વતન લઇ જવામાં આવશે.
2000 રૂપિયા જેટલું વસૂલવામાં આવ્યું ભાડું
આ બધા વચ્ચે આજે આજે કચ્છથી યૂપીમાં એક ટ્રેન મોકલવામાં આવી.આ દરમિયાન ટ્રેનના ભાડાને લઈને વિરોધાભાસ સામે આવ્યુ. સરકાર દ્વારા વતન જનારા બિનગુજરાતીઓ પાસેથી ભાડું લેવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વીટીવી સમક્ષ બિનગુજરાતીઓએ પોતાની વેદના જણાવતા કહ્યું છે કે, અમારી પાસેથી ટિકિટના રૂપિયા વસૂલવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી 2 હજાર રૂપિયા વસૂલાયા છે. ટ્રેનના ભાડાના 665 અને ઘરથી સ્ટેશન સુધી પહોંચવાના કુલ 2 હજાર રૂપિયા લેવાયા છે.. તો બીજી તરફ ટ્રેનને લીલી ઝંડી આપનારા મંત્રી વાસણ આહિરે અલગ જ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યુ કે, બિનગુજરાતીઓ પાસેથી ટિકિટના રૂપિયા લેવામાં આવ્યા નથી..
બિહાર જતા લોકો પાસેથી 760 રૂપિયા લેવામાં આવ્યા
ભરૂચના અંકલેશ્વરથી પણ બિન ગુજરાતીઓની ટ્રેન રવાના કરવામાં આવી. આ ટ્રેનમાં 1280 બિન ગુજરાતીઓ પોતાના વતનમાં જવા માટે રવાના થયા છે. જોકે અહીં પણ શ્રમિકોને ફ્રીમાં વતન મોકલવાના દાવા ખોટા સાબિત થયા. બિનગુજરાતીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. જેમાં ઉત્તરપ્રદેશ જતા લોકો પાસેથી 685 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. જ્યારે બિહાર જતા લોકો પાસેથી 760 રૂપિયા લેવામાં આવ્યા છે.
રેલવે વિભાગ અને સરકારે મૌન સેવ્યું
સરકારે પહેલા ફ્રીમાં મુસાફરીનો દાવો કર્યો હતો. પણ બાદમાં રૂપિયા વસૂલવાનું શરૂ થતાં રેલવે વિભાગ અને સરકારે મૌન સેવ્યું છે. ત્યારે વિપક્ષે આ મામલો ઉઠાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. જેમાં શ્રમિકો પાસેથી ભાડું ન વસૂલવા માટે રજૂઆત કરી હતી. જોકે હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. તો પરેશ ધાનાણીએ શ્રમિકોને પડતી મુશ્કેલી અને તેમના વતન વાપસી પર કંઈક આવું નિવેદન આપ્યું.
ભાડા પર નવી રાજનીતિ શરૂ થઈ
કોરોના સંકટમાં રાહતકાર્ય વચ્ચે હાલ શ્રમિકો પાસે લેવાતા ભાડા પર નવી રાજનીતિ શરૂ થઈ છે. સરકાર કહે છે કે મુસાફરો પાસેથી ભાડું લેવામાં આવતું નથી તો શ્રમિકા કહી રહ્યા છે કે ભાડું લેવામાં આવી રહ્યું છે. વિપક્ષે આ બાબતે સરકાર સામે સવાલ કર્યા છે...કોંગ્રેસે તો શ્રમિકો વતી ટિકિટના પૈસા આપવાની વાત કરી છે. પરંતુ સરકાર કોંગ્રેસની આ પહેલનો ગોળગોળ જવાબ આપી રહી છે. ત્યારે આખરે શ્રમિકો પાસેથી લેવામાં આવતી ટિકિટનું સત્ય શું છે તે બહાર આવવું જરૂરી છે.