રાજકોટ શહેરમાં કોરોનાનો હાહાકાર છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાની રીતે દર કલાકે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. તેવામાં હવે રાજકોટ જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે.
રાજકોટમાં કોરોના કહેર વચ્ચે સારા સમાચાર
જિલ્લાના 259 ગામો છે કોરોનામુક્ત
માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં એકપણ કોરોના કેસ નહીં
રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી અત્યારે પીક પર છે. રોજ સોથી દોઢસો નવા કેસ આવી રહ્યા છે. પ્રત્યેક કલાકે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. આવા કપરા સમયમાં એક સારા સમાચાર આવ્યા છે કે રાજકોટ જિલ્લાના 259 કોરોનામુક્ત ગામો છે. આ ગામડાઓમાં માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં એકપણ કોરોના કેસ નહીં.
જેમાં રાજકોટ તાલુકાના 43, લોધિકા તાલુકાના 16, પડધરી તાલુકાના 31, ગોંડલ તાલુકાના 23, કોટડા સાંગાણી તાલુકાના 22, ધોરાજી તાલુકાના 5, ઉપલેટા તાલુકાના 26, જેતપુર તાલુકાના 7, જામકંડોરણાના 22, જસદણ તાલુકાના 28 અને વિંછિયા તાલુકાના 36 ગામો કોરોનામુક્ત થયા છે.
મહત્વનું છે કે, રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકને લઇને આક્ષેપો થઇ રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ ખોટા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે કે સ્મશાનો પર લાઇનો લાગી છે. સરકાર સાચા આંકડા નથી દર્શાવી રહી. ઉલ્લેખનીય છે કે, સરકારે ચોપડે અત્યાર સુધીમાં 115 દર્દીઓના જ મોત દર્શાવાયા છે. રાજકોટ જિલ્લામાં 6989 કેસ નોંધાઇ ચૂક્યા છે.