કોરોના વાઇરસનો કેર ચીન-હોંગકોંગ પર વર્તાયો છે. તેની સાથે ચીન સાથે વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ પર પણ કેર વર્તાયો છે. હીરાબજારમાં હાલમાં આ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. 15 જાન્યુઆરીથી હોંગકોંગ-ચીનનું માર્કેટ બંધ થતાં 9000 કરોડથી વધુના હીરાના વેપાર પર અસર થઇ છે, જેની અસર હવે ધીમે ધીમે અમદાવાદ અને સુરતના હીરાબજાર પર જોવા મળી રહી છે.
કોરોના વાયરસને પગલે સુરત હીરા બજારના હાલ બે હાલ,
હીરાબજારમાં મિની વેકેશન જાહેર કરવું પડે તેવી સ્થિતિ
માર્કેટમાં હાલમાં માત્ર 15 ટકા કામ, હોંગકોંગ માર્કેટ 20 દિવસ બંધ રહે તો સ્થિતિ કફોડી
સુરતના હીરા વેપારીઓ પાસે માત્ર 10 થી 15 ટકાનો જ વેપાર
ડાયમંડ માર્કેટમાં વેપારીઓ પાસે કામ મર્યાદિત થતાં બ્રોકર્સ અને વેપારીઓ ચા-નાસ્તો કરવા જ માર્કેટમાં આવતા હોવાનું સ્થાનિક વેપારીઓ કહી રહ્યા છે. માર્કેટના એકસ્પર્ટના મત મુજબ કોરોના ઈફેક્ટ અને ડાયમંડની પડતર સમસ્યાઓના કારણે દિવાળી પછી 4000 વેપારીઓ પૈકી 20 ટકા વેપારીઓ માર્કેટમાંથી બહાર થઇ ગયા છે. સુરત ડાયમંડ એસોસિયેશન જણાવ્યા મુજબ હાલ સુરતના હીરા વેપારીઓ પાસે માત્ર 10 થી 15 ટકાનો જ વેપાર છે.
હાલમાં માત્ર હોંગકોંગ જ નહીં, પરંતુ યુએસ માર્કેટ પણ ધીમું
ડાયમંડ માર્કેટમાં વેપારીઓ પાસે જ 10 થી 15 ટકા કામ છે. નીરવ મોદી બેન્ક લોન કૌભાંડ થયાને બે વર્ષ થયાં તેમ છતાં હજુયે ધિરાણ મળવામાં તકલીફ છે. સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ છોરવડીએ જણાવ્યું હતું કે હાલમાં માત્ર હોંગકોંગ જ નહીં, પરંતુ યુએસ માર્કેટ પણ ધીમું છે.
હજારો રત્નકલાકારો બેકાર થવાની શક્યતા
સુરત ડાયમંડ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પ્રવીણ નાણાવટીએ જણાવ્યું હતું કે, હજારો ટ્રેડર્સ માર્કેટ સાથે સંકળાયેલા છે. કોરોનાના કારણે પેમેન્ટ સાઇકલ ડીલે થતાં 20 ટકા જેટલા ટ્રેડર્સ પણ હવે માર્કેટમાંથી બહાર થઇ ગયા છે, જેની માર્કેટ પર મોટી અસર પડશે. આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ફરી હજારો રત્નકલાકારો બેકાર થવાની શક્યતા છે.