શનિવારે વિશ્વભરમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. શનિવારે ભારત પર વધુ 3 કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી અસરગ્રસ્ત થયાના 34 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લઈ PMO સતર્ક બન્યું છે. અહીં ફસાયેલા ભારતીયોને ઈરાન માંથી કાઢવા માટે અધિકારીઓને સુચન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંક્રમિત દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા સજ્જ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાના કારણે ઈરાનમાં કુલ 145 મોત નીપજ્યા છે.
કોરોનાના કારણે ભારતીયોને લઈ PMO સતર્ક
વિશ્વના 103 દેશોમાં પહોચ્યો કોરોના વાયરસ
ઈરાનમાં નોંધાઈ ચૂક્યા છે કોરોનાના 5,823 કેસ, કુલ 145 મોત
વિશ્વના 103 દેશોમાં કોરોના વાયરસ હાલ સુધી પહોંચી ચૂક્યો છે. ખૂબ ઝડપથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ લોકોમાં ભય જન્માવી રહ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 3 હજાર 598 લોકોના મોત થયા છે તો વિશ્વમાં 1 લાખ 6 હજાર લોકો વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કુલ 104 લોકોના મોત નીપજ્યા છે.
ઈટાલીમાં સૌથી વધુ અસર વર્તાઈ
ઈટાલી દેશમાં કુલ મૃત્યુઆંક 233 પર પહોચ્યો છે. અહીં એક જ દિવસમાં 1200 કેસ નોંધાયા છે જ્યારે ઈરાન દેશમાં કુલ મૃત્યુઆંક 145 પર પહોચ્યો છે. ચીનમાં 3 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે તો ગઈકાલે ફ્રાંસમાં 7 લોકોના મોત થયાં હતાં. અમેરિકામાં પણ વધુ 4 લોકોના મોત થયાં છે જ્યારે ઈરાનમાં કોરોનાના 5,823 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના કુલ 34 કેસ નોંધાયા
આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના ત્રણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેના દર્દીઓની સંખ્યા હવે વધીને 34 થઈ ગઈ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણ નવા કેસમાંથી બે દર્દીઓ લદાખના અને એક તમિલનાડુના છે. લદાખના બંને દર્દીઓ તાજેતરમાં ઈમાન અને તમિલનાડુના દર્દી ઓમાનથી પરત ફર્યા છે. મંત્રાલયે તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે.
ચીનની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી છે અસર
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં આ વાયરસના કારણે વ્યાપાર ખોરવાયો છે અને વૈશ્વિક આપૂર્તિ પર પણ અસર જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર વર્ષના પહેલાં 2 મહિનામાં ચીનની નિકાસમાં 17.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના અંતથી લગભગ 5 કરોડ 60 લાખ લોકો હુબેઈ પ્રાંતમાં બંધ છે. હુબેઈમાં સતત બીજા દિવસે કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. વિદેશોથી આવેલા 60 લોકોમાં સંક્રમણની અસર જોવા મળી છે. અનેક સ્થાનિક અધિકારી વાયરસ પ્રભાવિત પ્રાંત કે દેશની યાત્રા કરનારા કોઈ પણ વ્યક્તિને 2 અઠવાડિયા માટે અલગ કરી રહ્યા છે.